વરઘોડો, જમણવાર કે દાંડિયારાસની મનાઈ
પ્રતીકાત્મક તસવીર
રાજકોટથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ઑરેન્જ ઝોન રહેલા રાજકોટ શહેર અને જિલ્લામાં લગ્ન માટે થોડીક શરતોને આધીન મંજૂરી મળી ગઈ છે. રાજકોટમાં લગ્નની તો મંજૂરી મળી ગઈ છે પણ મેળાવડા નહીં, સાદાઈથી લગ્ન કરી શકાશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં લગ્ન માટે મંજૂરી આપી દેવામાં આવી છે જેથી હવે લોકો થોડીક શરતોને આધીન લગ્ન કરી શકશે. રાજકોટમાં થનારાં લગ્નમાં મેળાવડા નહીં, સાદાઈથી લગ્ન કરી શકાશે. ફુલેકાં અને જમણવાર નહીં કરી શકાય. આ સિવાય લગ્નમાં વીસથી વધુ લોકો હાજર પણ નહીં રહી શકે એટલું જ નહીં, જો તમારે લગ્નપ્રસંગ કરવો હશે તો અગાઉથી લગ્નમાં હાજર રહેતા લોકોની યાદી પ્રાંત અધિકારીને આપવી પડશે. આજે રાજકોટ - નાયબ કલેક્ટર પરિમલ પંડ્યાએ એક નિવેદન આપ્યું હતું. નાયબ કલેક્ટર પરિમલ પંડ્યાએ રાજકોટ જિલ્લામાં લગ્નવિધિ માટે મંજૂરી આપી છે. ૨૦ લોકોને લગ્નવિધિ માટે પ્રાંત અધિકારીએ મંજૂરી આપી દેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ શરત એટલી માત્ર છે કે રાજકોટમાં કોઈ લગ્નમાં વરઘોડો, દાંડિયારાસ કે જમણવાર થઈ નહીં શકે.