અમારી સરકારનું લક્ષ્ય આંધ્ર પ્રદેશમાં ભ્રષ્ટ શાસન આપવાનું છેઃ પુષ્પા
પુષ્પા શ્રીવાની
આંધ્ર પ્રદેશનાં નાયબ મુખ્ય પ્રધાન પુષ્પા શ્રીવાનીની જીભ લપસતાં તેઓ શરમમાં મુકાઈ ગયાં હતાં. વાસ્તવમાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન પુષ્પા શ્રીવાનીએ કહ્યું કે અમારી સરકારનું લક્ષ્ય આંધ્ર પ્રદેશમાં ભ્રષ્ટ શાસન આપવાનું છે. આ સાંભળી ત્યાં હાજર સૌકોઈ ચોંકી ઊઠ્યા હતા. વાસ્તવમાં નાયબ મુખ્ય પ્રધાન કહેવા માગતા હતા કે તેમની સરકારનું લક્ષ્ય ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવાનું છે.
આ મામલામાં વિપક્ષી પાર્ટી ટીડીપીએ નિશાન સાધતાં કહ્યું હતું કે અમે ડેપ્યુટી મુખ્ય પ્રધાનના નિવેદન સાથે સહમત છીએ. ટીડીપીએ પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર કહ્યું કે તમારા લક્ષ્યની જાણકારી આપવાને લઈને ધન્યવાદ મેડમ, અમે તમારા નિવેદન સાથે સહમત છીએ.
ADVERTISEMENT
આ પણ વાંચો : રથયાત્રા 2019: પુરીમાં ભગવાનની સ્નાન યાત્રા, જગન્નાથ જશે એકાંતવાસમાં
નોંધનીય છે કે મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ સરકાર સંભાળ્યા બાદ પાંચ ડેપ્યુટી સીએમની નિમણૂક કરી હતી. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રેડ્ડીના નેતૃત્વમાં વાઇએસઆર કૉન્ગ્રેસે ૧૫૧ બેઠકો જીતી હતી અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી ફક્ત ૨૩ બેઠકોમાં સમેટાઈ ગઈ હતી.