વધતા કોરોના કેસ વચ્ચે ૨૧ સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ થશે?
પ્રતીકાત્મક તસવીર
કોરોના મહામારીના કારણે છેલ્લા છ મહિનાથી સંકટમાં સપડાયેલાં દેશનાં બધાં રાજ્યોની ગતિ-પ્રગતિના અવરોધોને દૂર કરવા કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-૪ની નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જે અનુસાર રાજ્યોને ધોરણ નવથી બારમી સુધીના વિદ્યાર્થીઓને સહાયકરૂપે સ્કૂલો ખોલવાનો નિર્દેશ અપાયો છે, જેમાં સુરક્ષિત અંતર સહિત કોરોનાના અન્ય નિયમોનું શક્તિથી પાલન કરવાનું રહેશે, પરંતુ હાલમાં મહારાષ્ટ્રમાં અનલૉક થવાની સાથે જ કોરોના મહામારીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. પ્રતિદિન અધિકૃત નવા આંકડાઓ જાહેર થઈ રહ્યા છે, જેમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે આપેલી સૂચના અનુસાર ૨૧ સપ્ટેમ્બરથી સ્કૂલો કંઈ રીતે ખોલવી એનો સ્પષ્ટ ખુલાસો મહારાષ્ટ્ર શાસન થકી કરાયો નથી. કોરોનાને કારણે લૉકડાઉન જાહેર થવાની સાથે જ સ્કૂલ, કૉલેજ બંધ કરાયાં છે. ઑનલાઇન પદ્ધતિ પ્રમાણે સ્કૂલો શિક્ષણ પૂરું પાડી રહી છે. કેન્દ્રએ આપેલી નવી સૂચનામાં ૨૧ સપ્ટેમ્બરથી સ્કૂલો ખૂલવાની અને એમાં ૫૦ ટકા શિક્ષકો, અન્ય કર્મચારીઓ સાથે ધોરણ નવથી બારમા સુધીના વિદ્યાર્થીઓ પોતાના વિષયોના સમસ્યાઓના માર્ગદર્શન માટે વિષય શિક્ષકનો સંપર્ક સાધી શકે છે, જે માટે તેમના પેરન્ટ્સ તરફથી લેખિત સહમતીનો પત્ર સ્કૂલને આપવાનો રહેશે.
આ સંદર્ભે ટીચર્સ ડેમોક્રૅટિક ફ્રન્ટના ઉપાધ્યક્ષ રાજેશ પંડ્યાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દૂર રહેતા શિક્ષકો લોકલ ટ્રેન સેવા બંધ હોવાથી કંઈ રીતે સ્કૂલે પહોંચી શકશે. તેમને સ્કૂલે પહોંચતા છ કલાકથી વધુ સમય લાગે છે. આ વિશે મહારાષ્ટ્ર શાસનના એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડને સતત ફોન કરાયો છતાં તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.