અમિત શાહને અમરિન્દર સિંહે કહ્યું, ખેડૂતોની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવો
ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા બાદ પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ
પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે ગૃહપ્રધાન અમિત શાહને મળી ખેડૂતોની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવાનું કહ્યું છે. એનાથી રાષ્ટ્રીય સુરક્ષા પર અસર થઈ રહી છે. છેલ્લા એક સપ્તાહથી દિલ્હી-એનસીઆરમાં ચાલી રહેલા ખેડૂત-આંદોલન વચ્ચે ગુરુવારે અમરિન્દર સિંહે શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કૅપ્ટને કહ્યું કે અમે આ વિવાદનો જલદી ઉકેલ ઇચ્છીએ છીએ. પંજાબના ખેડૂતોના પ્રદર્શનને કારણે રાજ્યથી અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે, સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા પર પણ અસર પડતી દેખાઈ રહી છે.
દરમિયાન ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતો ગુરજંત સિંહ અને ગુરબચન સિંહના પરિવારોને ૫-૫ લાખ રૂપિયાની સહાય આપવાની કૅપ્ટન અમરિન્દર સિંહે જાહેરાત કરી છે. કૅપ્ટન અમરિન્દર સિંહ સતત કેન્દ્ર સરકારને કહી રહ્યા છે કે તે ખેડૂતો સાથે વાત કરી આ આંદોલનને ખતમ કરાવે. પંજાબ દેશમાં એક એવું રાજ્ય છે, જેણે સૌથી પહેલાં કેન્દ્રના ત્રણ કાયદા સામે વિધાનસભામાં બિલ પાસ કર્યું છે.