મુંબઈમાં અમર જવાન સ્મારક તોડનાર એક મોસ્ટ વૉન્ટેડ ઝડપાયો
આઝાદ મેદાન સામે આવેલા અમર જવાન સ્મારકની ૧૧ ઑગસ્ટે તોડફોડ કરીને એને નુકસાન પહોંચાડનારા બે આરોપીઓમાંથી ૧૯ વર્ષના એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તે નેપાલ જવાની તૈયારી કરી રહ્યો હતો, પણ નાસી જાય એ પહેલાં જ તેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
જોગેશ્વરી (ઈસ્ટ)ના સીતાવાડી વિસ્તારમાં ક્વૉર્ટર કૉલોનીમાં રહેતા અબ્દુલ કાદિર મોહમ્મદ યુનુસ અન્સારીને તેના બિહારના વતન સીતામઢીમાંથી પકડી લેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૧૦ના ઑફિસર રઉફ શેખે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અબ્દુલના પિતા અને ત્રણ ભાઈઓ મૌલવી છે. તેમનો પરિવાર બહુ ગરીબ છે. અબ્દુલને પાંચ ભાઈ અને બે બહેન છે.’
ADVERTISEMENT
જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) હિમાંશુ રૉયે આ બાબતે કહ્યું હતું કે ‘અબ્દુલે જોગેશ્વરીમાં થયેલી કેટલીક મીટિંગોમાં તેમ જ આસામ અને મ્યાનમારમાં મુસ્લિમો પર કરવામાં આવતા અત્યાચાર વિશેની ચર્ચામાં ભાગ લીધો હતો.’
અમર જવાનનું એ સ્મારક બ્રિટિશરો વિરૂદ્ધ ૧૮૫૭ના બળવામાં ભાગ લેનારા બે સિપાઈ સૈયદ હુસેન અને મંગલ કડિયાની યાદમાં મુંબઈ સુધરાઈ દ્વારા ૨૦૦૯માં બનાવવામાં આવ્યું હતું.
આસામ અને મ્યાનમારમાં મુસ્લિમો પર થઈ રહેલા હુમલાના વિરોધમાં મુંબઈમાં રઝા ઍકૅડેમીના નેજા હેઠળ ૧૧ ઑગસ્ટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સભા પત્યા પછી એમાં સામેલ થયેલા મુસ્લિમોએ તોફાનો મચાવ્યાં હતાં. એ વખતે ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર અતુલ કાંબળેએ અબ્દુલને અમર જવાન સ્મારક પર લાકડીથી હુમલો કરતો કૅમેરામાં ઝડપી લીધો હતો. એ ફોટોના આધારે પોલીસ તેને અને તેના સાગરીતને શોધી રહી હતી. પોતાનો ફોટો છાપામાં પહેલા પાને આવેલો જોઈને અબ્દુલ પહેલાં તો બહુ ખુશ થયો હતો અને લોકોને એ ફોટો બતાવતો હતો, પણ જ્યારે તેની મમ્મીને તેણે ફોટો બતાવ્યો ત્યારે મમ્મીએ તેને ગંભીરતા સમજાવી હતી અને તરત જ સીતામઢીમાં રહેતા તેના ભાઈને ત્યાં મોકલી આપ્યો હતો.
રઉફ શેખે કહ્યું હતું કે ‘અબ્દુલ કુર્લા ટર્મિનસથી પાવન એક્સપ્રેસ પકડીને બિહાર તેના મામાને ત્યાં ચાલી ગયો હતો. તે ત્યાંથી નેપાલ ભાગી જવાની વેતરણમાં હતો.’
અબ્દુલ તેના પિતાના ટચમાં હતો.
ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરો આખરે તેના પિતાની મદદ લઈને તેના સુધી પહોંચ્યા હતા. રઉફ શેખે કહ્યું હતું કે અબ્દુલ મદરેસામાં ભણ્યો છે અને અત્યારે કંઈ કરતો નથી.
અમર જવાન સ્મારકની તોડફોડમાં સંકળાયેલો બીજો યુવાન પણ જોગેશ્વરીનો જ રહેવાસી છે અને અત્યારે પોલીસથી નાસતો ફરી રહ્યો છે. તેને ખબર પડી કે ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ અબ્દુલને પકડી લીધો છે ત્યારે તે નાસી છૂટ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના એક ઑફિસરે કહ્યું હતું કે અમે તેના ‘મિડ-ડે’માં છપાયેલા ફોટોને આધારે ઓળખી કાઢ્યો છે અને બહુ જલદી તેને પણ પકડી લઈશું. પોલીસ તેના વિશે અબ્દુલની પણ પૂછપરછ કરી રહી છે.
આઝાદ મેદાનની હિંસામાં ભાગ લેવાના કેસમાં પોલીસે વધુ ચાર જણની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં પોલીસે આ તોફાન બાબતે ૫૫ જણની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કર્યા બાદ એમાંથી ત્રણ જણ અનીસ દેવરે, અસલમ શેખ અને અબ્બાસ ઉજ્જૈનવાલા તોફાનોમાં સામેલ ન હોવાનું ર્કોટને જણાવતાં ર્કોટે તેમને છોડી મૂક્યા છે.
એમઆઇડીસી = મહારાષ્ટ્ર સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન