ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દી પ્રવેશે 100 વૃક્ષોનું વાવેતર કરાયું
૧૯૨૦માં મહાત્મા ગાંધીજીએ જે બંગલોમાં ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત કરી હતી એ બંગલોમાં ગઈ કાલે ગૂજરાત વિદ્યાપીઠના શતાબ્દી પ્રવેશ સમારોહ સાદગીપૂર્ણ રીતે યોજાયો હતો. તસવીરમાં ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, સંચાલકો, વિદ્યાર્થીઓ અને બંગલોના વારસદારો દેખાય છે.
૯૯ વર્ષ પહેલાં અમદાવાદના જે બંગલોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત કરી હતી એ બંગલોમાં ગઈ કાલે ગુજરાત વિદ્યાપીઠનો શતાબ્દી પ્રવેશ સમારંભ સાદગીપૂર્ણ રીતે યોજાયો હતો અને તજજ્ઞોએ ૧૯૨૦ની સાલમાં ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.
૧૯૨૦માં ૧૮ ઑક્ટોબરે મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તા. ૧૫-૧૧-૧૯૨૦ના દિવસે અમદાવાદના ઍલિસબ્રિજ પ્રીતમનગર વિસ્તારમાં આવેલા ડાહ્યાભાઈ ઇજતરામ વકીલના બંગલોમાં ગાંધીજીના હસ્તે ગૂજરાત મહાવિદ્યાલયની સ્થાપના થઈ હતી અને ગાંધીજીએ ઉદ્ઘાટન પ્રવચન આપ્યું હતું.
ADVERTISEMENT
ગુજરાત વિદ્યાપીઠના અસોસિએટ પ્રોફેસર બિન્દુવાસિની જોષીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘એ દિવસે ગાંધીજી મુંબઇથી ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા. ટ્રેન અડધો કલાક મોડી હતી એટલે ગાંધીબાપુ મોડા પડ્યા હતા, પણ તા.૧૫ નવેમ્બર, ૧૯૨૦ના દિવસે યોજાયેલા મહાવિદ્યાલયનો કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. એ સમયે અંદાજે બેથી ત્રણ હજાર નાગરિકો સમારોહમાં આવ્યા હતા.’
ઉલ્લેખનીય વાત એ છે કે જે બંગલામાં ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત થઈ હતી એના માલિક ડાહ્યાભાઇ ઇજતરામ વકીલના વારસદારોએ આજે ૯૯ વર્ષ પછી પણ એ બંગલોમાં ગાંધીજીના સ્મૃતિઓને જાળવી રાખી છે અને બંગલોનું જતન કરી રહ્યા છે.
આ પણ વાંચો : રાજ્યમાં છ વિધાનસભા પેટાચૂંટણીઃ 15 લાખ મતદારો 1781 મથક પર મતદાન કરશે
આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ઇલાબહેન ભટ્ટ, કુલનાયક ડૉ. અનામિક શાહ, કાર્યકારી કુલસચિવ ભરત જોશી, વિદ્યાપીઠ મંડળના નિયામક ડૉ. રાજેન્દ્ર ખીમાણી, બંગલોના મૂળ માલિક અને ત્રીજી પેઢીના વારસ પ્રિયદર્શનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દી પ્રવેશ નિમિત્તે વિદ્યાપીઠ કૅમ્પસમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ૧૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને એને શતાબ્દી વન નામ આપવામાં આવ્યું હતું.