બગદાદમાં ૧૨ વર્ષ બાદ કરફ્યુ હટ્યો : લોકોએ ઉજવણી કરી
ઇરાકની રાજધાની બગદાદમાં ૧૨ વર્ષ બાદ કરફ્યુ હટાવવામાં આવતાં લોકો ખુશ છે અને રસ્તા પર આવીને ઉજવણી કરી રહ્યા છે. જોકે ઉજવણી વખતે જ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ ન્યુ બગદાદની એક હોટેલમાં સુસાઇડ બૉમ્બર વડે હુમલો કરતાં ઓછામાં ઓછા ૨૫ લોકોનાં મોત થયાં છે, જ્યારે શોરઝા માર્કેટમાં પણ થયેલા ત્રણ અલગ-અલગ બૉમ્બ-બ્લાસ્ટમાં ૧૫ લોકોનાં મોત થયાં છે.
ADVERTISEMENT
૨૦૦૩માં અમેરિકાના નેતૃત્વમાં બગદાદ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારથી બગદાદમાં કરફ્યુની સ્થિતિ રહેતી હતી. બૉમ્બધડાકા અને તોપના હુમલા સામાન્ય બની ગયા હતા અને એ બગદાદના લોકોના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયા હતા. આથી આ શહેરમાં કાયમી રાત્રિ કરફ્યુ રહેતો હતો અને દિવસે પણ જ્યારે કોઈ પણ આપાત સ્થિતિ હોય તો પણ ગમે ત્યારે કરફ્યુ લગાવી દેવામાં આવતો હતો.