કંગના પર રાજકારણીઓ ભડક્યા
કંગના રનોટ અને સંજય રાઉત
બૉલીવુડની બિન્દાસ અદાકારા કંગના રનોટે પોતાના એક નિવેદન દ્વારા ફરી એક વાર બબડાટ કર્યો છે જેને કારણે શિવસૈનિકો ભડક્યા છે. કંગનાએ એક ટ્વીટ કરીને મુંબઈને પીઓકે કહેતાં વિવાદ સર્જાયો હતો. કંગનાએ તાજેતરમાં ટ્વીટ કરી હતી કે ‘શા માટે મુંબઈ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર હોય એવું લાગી રહ્યું છે?’
કંગનાની આ ટ્વીટ પર સંજય રાઉત સૌથી વધારે ભડક્યા હતા. રાઉતે કહ્યું કે ‘મુંબઈ મહારાષ્ટ્રનો હિસ્સો છે, કારણ કે મુંબઈ બનાવવા માટે ૧૦૬ લોકોએ જીવનનું બલિદાન આપ્યું હતું. જે લોકોને આ શહેરને કંઈ લેવાદેવા નથી અને જેઓ મહારાષ્ટ્ર પોલીસને બદનામ કરી રહ્યા છે તેમની સામે રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલયે કડક પગલાં લેવાં જોઈએ. હું એક શિવસૈનિક છું, માટે આ નિવેદન સ્વીકાર નહીં કરું. મંત્રાલયે કાયદાને ધ્યાનમાં રાખીને આવા માનસિક કેસનો નિવેડો લાવવો જોઈએ. મુંબઈને પાકિસ્તાન કહીને મહારાષ્ટ્રની અસ્મિતા ખંડિત કરનારાઓને રાજકીય પક્ષો ટેકો આપી રહ્યા છે. આવા રાજકીય પક્ષોને રાજ્યમાં વોટ માગવાનો કોઈ અધિકાર નથી. મુંબઈ પોલીસ પર આવી ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી. મહારાષ્ટ્રની વાસ્તવિક પુત્રી ઝાંસીની રાણીનું આ અપમાન છે. મુંબઈને પીઓકે કહેનાર કંગનાએ સૌથી પહેલાં પીઓકેમાં જઈને ત્યાંની પરિસ્થિતિ જોવી જોઈએ અને પછી ટિપ્પણી કરવી જોઈએ.’
ADVERTISEMENT
સંજય રાઉત ઉપરાંત આશિષ શેલારે પણ કંગનાને વઢીને મુંબઈ પોલીસને શિખામણ ન આપવાની વાત કહીને તેમના પક્ષને સ્ટેટમેન્ટ સાથે ન સાંકળવાની સલાહ આપી હતી. જોકે કૉન્ગ્રેસના સચિન સાવંતે બળતામાં ઘી હોમીને કંગનાની ટીકાને રાજકારણી રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. સાવંતે કહ્યું કે ‘બીજેપીના ઇશારાથી અભિનેત્રીએ મુંબઈને પીઓકે સાથે સરખાવીને ૧૩ કરોડ મહારાષ્ટ્રિયનોનું અપમાન કર્યું છે. અમે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યની બીજેપી સરકાર તેમ જ વિધાયક રામ કદમ પાસેથી બિનશરતી માફીની માગણી કરીએ છીએ.’
વાસ્તવમાં સુશાંતસિંહ રાજપૂતના કેસ સંદર્ભમાં બૉલીવુડ અને રાજકારણનાં કેટલાંક મોટાં નામનો ખુલાસો કરવા માટે કંગનાએ પ્રોટેક્શનની માગણી કરી હતી જેને રામ કદમે ટેકો આપ્યો હતો.
આટલું ઓછું હતું ત્યાં કંગનાએ મુંબઈ પોલીસને મૂવી-માફિયા કહ્યા હતા. ત્યાર બાદ રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે પણ કંગનાને આડેહાથ લેતાં કહ્યું કે ‘જે લોકોને મુંબઈમાં રહેવાનો અને મુંબઈ પોલીસથી ડર લાગતો હોય છે તેઓ મુંબઈ છોડીને જઈ શકે છે, તેમને મુંબઈમાં રહેવાનો કોઈ હક નથી. જો તેમને પ્રોટેક્શન જોઈતું હોય તો હરિયાણા અથવા હિમાચલ પ્રદેશ પોલીસ પાસે માગી શકે છે.’