રેલવે-સ્ટેશનો પર અવ્યવસ્થામાં ઘટાડાથી સ્થિતિ સામાન્ય
ફાઈલ તસવીર
મુંબઈ સંપૂર્ણપણે ખૂલી ગયા બાદ મધ્ય અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોમાં રોજના સરેરાશ ૩૦થી ૩૫ લાખ મુસાફરો પ્રવાસ કરે છે. રેલવેએ ૯૫ ટકા સર્વિસ ચાલુ રાખી છે તથા પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે. પ્રારંભમાં મોટા ભાગે પહેલા દિવસે ટિકિટબારી પર ટિકિટ માટે, રીફન્ડ માટે અને પાસના એક્સ્ટેન્શન માટે ઘણી ભીડ થઈ હતી. જોકે ધીમે-ધીમે બધું સામાન્ય થઈ રહ્યું છે
જોકે આનો અર્થ એ નથી થતો કે આપણે નિશ્ચિંત બની જવાનું છે. માસ્ક પહેરવો ફરજિયાત રહેશે તેમ જ અન્ય પ્રોટોકૉલનું પણ પાલન કરવાનું રહેશે. હાલમાં પ્રવાસ પરના પ્રતિબંધો, સમય અને અન્ય ફરજિયાત માર્ગદર્શિકા યથાવત્ રહેશે એમ જણાવતાં એક વરિષ્ઠ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ૧૫ દિવસ બાદ પરિસ્થિતિનું અવલોકન કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારના આદેશ મુજબ ધીમે-ધીમે ટ્રેનો ફરી શરૂ કરવા સંબંધી નિર્ણય લેવાશે.
ADVERTISEMENT
પૅસેન્જર અસોસિએશને કહ્યું હતું કે ‘પૅસેન્જર અને ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને અગ્રિમ ધોરણે પૂર્વવત્ કરવી જોઈએ. મુંબઈમાં કામ કરવા લોકો પુણે અને નાશિક જેટલા લાંબા અંતરેથી આવતા હોય છે. પનવેલ-વસઈ, દહાણુ, દીવા-સાવંતવાડી અને અન્ય સેક્ટર્સને જોડતી મેઇન ઈએમયુ લાઇનને ભૂલવી ન જોઈએ. આ લાઇનની ટ્રેનો પર નિર્ભર અનેક ઑફિસ-કર્મચારીઓ હાલમાં રોડમાર્ગે પ્રવાસ કરી રહ્યા છે જે ખૂબ ખર્ચાળ અને કંટાળાજનક છે. આમ આ પ્રવાસીઓની તકલીફોને પણ દૂર કરવા પ્રયાસ કરવો જોઈએ.’