અંધેરીની ઘટના બાદ વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવે દ્વારા એસ્કેલેટર્સની તપાસ
સોમવારે સાંજે પશ્ચિમ રેલવેના અંધેરી સ્ટેશન પર એસ્કેલેટર્સ જોખમી રીતે અવળી દિશામાં ગતિ કરવા માંડતાં તાત્કાલિક તમામ સબર્બન રેલવે સ્ટેશનોનાં એસ્કેલેટર્સની તપાસ હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવે બન્ને પરનાં રેલવે-સ્ટેશનો પર ૧૦૦ કરતાં વધુ એસ્કેલેટર્સ કાર્યરત છે જેમાં હાર્બર લાઇનનો સમાવેશ છે. સત્તાવાર આંકડા પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯ સુધી વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનમાં ૪૮ એસ્કેલેટર્સ છે (૧૬ એસ્કેલેટર્સ ૨૦૧૯માં બંધાયાં હતાં) અને સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝન પાસે ૬૭ એસ્કેલેટર્સ છે, જે પૈકીનાં ૯ ૨૦૧૯માં બંધાયાં હતાં. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘અમે આ ઘટના વિશે માહિતી એકઠી કરીશું અને અમારા નેટવર્કનાં એસ્કેલેટર્સની ચકાસણી પણ કરીશું.’