મુંબઈનો આદિત્ય ચૌધરી દુનિયાનો સૌથી યુવાન આયર્નમૅન બન્યો
વિજય બાદ ડાબેથી આદિત્ય ચૌધરી.
શ્વાસોશ્વાસની બીમારીમાં બે વખત સર્જરી કરાવ્યા બાદ ખૂબ જ કઠિન એવી ટ્રાઇથ્લૉન સ્પર્ધા માત્ર ૧૮ વર્ષની ઉંમરે મુંબઈના આદિત્ય ચૌધરીએ પૂરી કરીને તે દુનિયાનો સાૈથી યુવાન આર્યનમૅન બન્યો હતો. આદિત્યએ ૧.૯ કિલોમીટર સ્વિમિંગ ૪૩ મિનિટમાં, ૯૦ કિલોમીટરની બાઇક-રાઇડ બે કલાક ૫૭ મિનિટમાં અને ૨૧.૧ કિલોમીટરનું રનિંગ ૧ કલાક ૫૯ મિનિટમાં પૂરું કર્યું હતું. સ્વિમિંગ, સાઇકલિંગ અને રનિંગ વચ્ચે ૧૫ મિનિટનો ચેન્જઓવર મળે છે. ૭૦.૩નો સંબંધ ટ્રાઇથ્લૉનના કુલ અંતર ૧૧૩ કિલોમીટરને માઇલમાં પ્રસ્તુત છે જેમાં સ્પર્ધકને સ્વિમિંગ, સાઇકલિંગ અને રનિંગ કરવાનું હોય છે.
આદિત્ય ચૌધરીએ કહ્યું હતું કે ‘આ મારા જીવનની સૌથી કીમતી ક્ષણ હતી. છેલ્લાં ૬ વર્ષ મેં આ માટે તાલીમ લીધી હતી. મારા અને દેશ માટે હું આ સફળતા મેળવવા માગતો હતો. મારી સફળતા માટે હું જેમણે પણ મને સહયોગ કર્યો છે તેમનો હું આભાર માનું છું.’
નોંધપાત્ર વાત એ છે કે ૬ વર્ષથી ટ્રાઇથ્લૉનની તાલીમ લઈ રહેલા આદિત્યને શ્વાસોશ્વાસની તકલીફ હોવાથી તેના પર બે સર્જરી કરાઈ હતી. આમ છતાં, તેણે મુંબઈ નજીકના લોનાવલા, ઇગતપુરી, પ્રતાપગઢ અને એમ્બી વેલી જેવાં સ્થળોએ સખત પ્રૅક્ટિસ કરી હતી. આ મહેનતને લીધે જ તે સફળ થયો છે.
આદિત્ય દેશના યુવાનોને આ સ્પર્ધામાં સફળતા મેળવીને મેસેજ આપે છે કે આપણા મોટા ભાગના યુવાનો ક્રિકેટ, ફુટબૉલ પસંદ કરે છે. યુવાનોએ સ્વિમિંગ, સાઇકલિંગ અને રનિંગ જેવી ઍથ્લીટ સ્પર્ધામાં સહભાગી થવું જોઈએ.