હવામાન વિભાગના મતે 18 તારીખ સુધી સારા વરસાદની કોઈ શક્યતા નથી
ફાઈલ ફોટો
રાજકોટ શહેરમાં સોમવારે સવારે વાદળો છવાયા બાદ છાંટા પડવાના શરૂ થયા હતા. વરસાદી માહોલ બનતાં લોકો હરખાયા હતા અને અમીછાંટણાં પડ્યા બાદ વરસાદ ન પડતાં લોકો નિરાશ થયા હતા. વરસાદ ખેંચાતાં ખેતરમાં વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ સૌરાષ્ટ્રનાં ૩૯માંથી ૧૭ જળાશયો ખાલીખમ છે.
સવારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટાંછવાયાં અમીછાંટણાં પડ્યા બાદ પવન શરૂ થયો હતો. ગઈ કાલે આખો દિવસ ૩૫થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, જે સાંજના સમયે ૨૮ કિલોમીટર રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી ૧૮ તારીખ સુધી સારા વરસાદની કોઈ શક્યતા નથી, પણ લોકલ સિસ્ટમને કારણે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને એના માટે પણ પવનની ગતિ મંદ હોવી જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઠાકોર સેનાની કૉર કમિટીનો નિર્ણય, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બીજેપીમાં જોડાશે
જોકે રાજકોટમાં પવનની ગતિ વધી જતાં લોકલ સિસ્ટમ પણ વિખેરાઈ જતાં વરસાદ પડ્યો નહોતો. રાજકોટ જિલ્લામાં ગોંડલ અને ધોરાજીના વિસ્તારમાં વરસાદનો એક સારો રાઉન્ડ આવી ચૂક્યો છે, પણ રાજકોટ શહેર અને અન્ય તાલુકાઓ સાવ કોરા રહ્યા છે. હવે એક સપ્તાહ બાદ ફરીથી ચોમાસું સક્રિય થાય એવી આશાઓ છે.