૧૨ ધારાસભ્યો સાથે સચિન પાઇલટ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા
રાજસ્થાનમાં સરકાર પાડવા માટે ધારાસભ્યોના ખરીદ-વેચાણને લઈ રાજસ્થાન પોલીસની સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ (એસઓજી)એ મોટી કાર્યવાહી કરી છે. એસઓજીએ મામલામાં કેસ નોંધી દીધો છે. ત્યાર બાદ કૉન્ગ્રેસના ૧૨ ધારાસભ્ય દિલ્હી પહોંચ્યા છે. ડેપ્યુટી મુખ્યમંત્રી સચિન પાઇલટ પહેલાંથી જ દિલ્હીમાં ઉપસ્થિત છે. મળતી માહિતી મુજબ સચિન પાઇલટ અને બાકી ૧૨ ધારાસભ્ય મુખ્ય પ્રધાન અશોક ગેહલોટથી નારાજ છે. આ તમામ લોકો આજે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળી શકે છે. મળતી માહિતી મુજબ, સચિન પાઇલટ એસજીઓની એફઆઇઆરમાં સરકાર પાડવાના કાવતરામાં તેમના પર નિશાન સાધવાથી નારાજ છે.
આ દરમિયાન કૉન્ગ્રેસે તે ત્રણ અપક્ષ ધારાસભ્યોની સંબદ્ધતા સમાપ્ત કરી દીધી. અત્યાર સુધી આ ત્રણેય સુરેશ ટાક ખુશવીર જોજાવર અને ઓમ પ્રકાશ હુડલા ગેહલોટ સરકારને સમર્થન આપી રહ્યા હતા, પરંતુ એસઓજીએ ત્રણેય વિરુદ્ધ હૉર્સ ટ્રેડિંગ મામલામાં કેસ નોંધી દીધો છે. ત્રણેય પર આરોપ છે કે સરકાર પાડવા માટે ધારાસભ્યોની ખરીદ-વેચાણનો પ્રયાસ કર્યો હતો.
ઓમ માથુરે એક વાતચીતમાં કહ્યું કે ‘કૉન્ગ્રેસની વચ્ચે અવારનવાર કલેશના સમાચારો આવતા રહે છે. અશોક ગેહલોટ તો આનો આરોપ જબરદસ્તીથી બીજેપી પર મૂકી રહ્યા છે. બીજેપીના રાજ્યસભા સંસદસભ્યે કહ્યું કે ‘રાજસ્થાનમાં અત્યારની રાજકીય સ્થિતિ વિશે કૉન્ગ્રેસે બીજેપીને દોષ ન આપવો જોઈએ. તેણે પોતાનું ઘર જોવું જોઈએ. જ્યારે ગેહલોટ સરકારની રચના થઈ હતી ત્યારથી આ સંકટ ચાલતું આવી રહ્યું છે. સચિન પાઇલટ અને અશોક ગેહલોટની લડાઈ આનું અસલી કારણ છે. ગેહલોટ બીજેપીને દોષ આપવાના પ્રયત્ન કરી રહ્યા છે.’