બગદાદીના સ્થાને અબુ ઇબ્રાહિમ અલ કુરેશી આઇએસઆઇએસનો વડો બન્યો
આઇએસઆઇએસનો વડો અબુ બકર બગદાદી અમેરિકી લશ્કરના ઑપરેશનમાં ઠાર થતાં આઇએસઆઇએસના વડા તરીકેની ધુરા અન્ય ખતરનાક આતંકવાદી અબુ ઇબ્રાહિમ અલ કુરેશીએ સંભાળી લીધી હતી. બગદાદીનો ખાતમો થતાં આઇએસઆઇએસ ખતમ થઈ જશે એવી ધારણા ખોટી પડી હતી અને આઇએસઆઇએસ સક્રિય રહ્યું હતું. માત્ર બગદાદીના સ્થાને અબુ ઇબ્રાહિમ અલ કુરૈશી આઇએસઆઇએસનો વડો બન્યો હતો.
ફૉરેન અફેર્સ મૅગેઝિનમાં પ્રગટ થયેલા એક લેખમાં જણાવાયા મુજબ બગદાદી મરવાથી આઇએસઆઇએસ નબળું પડ્યું છે, પરંતુ સાવ ખતમ થયું નથી. ૨૦૧૯ના માર્ચમાં પૂર્વી સિરિયાના બાગુજ શહેર પર અમેરિકાના સમર્થનવાળી કુર્દ અને આરબ સેનાએ કબજો મેળવી લીધો હતો. બાગુજ શહેર આઇએસઆઇએસનો ગઢ ગણાતું હતું. ત્યાર બાદ સાત મહિના પછી અમેરિકી સેના સાથે અથડામણ થઈ ત્યારે પોતે ઊગરી શકે એમ નથી એવું લાગતાં બગદાદીએ પોતાની જાતને ગોળી મારીને ઠાર કરી હતી.
ફૉરેન અફેર્સ મૅગેઝિને વધુમાં જણાવ્યા મુજબ અમેરિકાના કાઉન્ટર-ટેરરિઝમ સેન્ટરના વડા રસેલ ટ્રેકર્સે અમેરિકી કૉન્ગ્રેસને એવી માહિતી આપી હતી કે છેલ્લા એક વર્ષમાં આઇએસઆઇએસએ ઘણા આતંકવાદી હુમલા કર્યા હતા જે ખૂબ જ ચોક્સાઈ ભરેલા આયોજન દ્વારા અને વિવિધ જૂથોના સંગઠિત હુમલા જેવા હતા.