ભાઈંદરમાં પતિના વિયોગમાં પત્નીની આત્મહત્યા?
પ્રતીકાત્મક તસવીર
મુંબઈઃ ભાઈંદરમાં બે બાળકોની માતાએ ઘરના પંખા પર લટકીને આત્મહત્યા કરી હોવાની આઘાતજન્ય ઘટના ગુરુવારે સવારે બની હતી. બનાવની જાણ થતાં નવઘર પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
ભાઈંદર-ઈસ્ટના ગોલ્ડન નેસ્ટ પરિસરમાં શિલ્પ અપાર્ટમેન્ટમાં એ વિંગના ફ્લૅટ નંબર ૨૦૩માં ૩૫ વર્ષની ગૃહિણી શાલિની ભટ્ટ તેનાં બે બાળકો સાથે રહેતી હતી. તેમને પાંચ વર્ષનો અભ્યુદય અને ૧૧ વર્ષનો શ્રવણ નામના બે પુત્ર છે. દરરોજની જેમ ગુરુવારે સવારે શાલિનીએ બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલ્યાં હતાં.
બપોરે એક વાગ્યાની આસપાસ બાળકો સ્કૂલેથી ઘરે પાછાં આવ્યાં ત્યારે તેમની મમ્મી શાલિની પંખા પર લટકતી જોવા મળી હતી. આ જોઈને તેઓ બૂમાબમ કરવા લાગ્યાં હતાં, બૂમ સાંભળીને પાડોશીઓ એકઠા થઈ ગયા હતા.
શાલિનીના પતિ રાઘવેન્દ્ર ભટ્ટનું ત્રણેક મહિના પહેલાં ગંભીર બીમારીથી મૃત્યુ થયું હતું. પતિ કૅટરિંગનો બિઝનેસ કરતા હતા. પતિના મૃત્યુથી શાલિની ડિપ્રેશનમાં રહેતી હોવાથી અને પતિના વિયોગમાં તેણે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.
નવઘર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાના પાડોશી કારમાં જતાં હતા ત્યારે તેમને શાલિનીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. બાદમાં તેના પુત્રો પણ ઘરે પહોંચ્યા હતા. મહિલાના પતિ ગુજરી ગયા બાદ તે ખૂબ ચિંતામાં રહેતી હોવાનું પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું હતું. મહિલાના સંબંધીઓ બહાર રહે છે અને તેમને આ વિશે જાણ કરવામાં આવી હતી. મહિલાની ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવી હતી. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.’