લૉકડાઉનમાં વસઈમાં ખેતી-બાગાયતીમાં ઘણો સુધારો
વસઈ અને વિરારને જોડતા વ્યસ્ત માર્ગ પર આવેલી પોતાની કેળાની વાડીમાં બાવતીસ કેઇટસ ફર્ગોસ અને તેમનાં પત્ની : તસવીર : હનીફ પટેલ
કોરોના વાઇરસના રોગચાળાને કારણે જાહેર કરવામાં આવેલું લૉકડાઉન મુંબઈની આસપાસના થાણે-પાલઘર જિલ્લાનાં શહેરો અને ગામડાંમાં ખેતી અને બાગાયતીની પ્રવૃત્તિઓ માટે આશીર્વાદરૂપ નીવડ્યું છે, કારણ કે વાહનો અને કારખાનાંની પ્રવૃત્તિમાં ઘટાડાને લીધે પ્રદૂષણ ઓછું થઈ ગયું છે. વસઈમાં કેળાની વાડીમાં છેલ્લાં પાંચ વર્ષથી ચોક્કસ પ્રકારની ફૂગ ઊભા પાકને નુકસાન કરતી હતી. પ્રદૂષણ ગુમ થઈ જતાં એ ફૂગ હવે કેળાના છોડવા પર જોવા મળતી નથી.
વસઈમાં ભક્તિભાવપૂર્વક કેળાંની બાગાયતી કરતા બાવતીન કેઇટસ ફર્ગોસને કેળાંના પાક પર કોઈ પણ પ્રકારનાં રસાયણો છંટાવ્યા વગર સારી ઊપજ જોવા મળતાં આનંદ થઈ રહ્યો છે. વસઈના સનસિટીને વિરાર સાથે જોડતા વાહનવ્યવહારથી ધમધમતા રસ્તા પાસે એક એકર જમીન પર ફર્ગોસની કેળાની વાડી છે. પાંચેક વર્ષથી ‘બ્લૅક સિગાટોકા’ નામની ફૂગ થતાં ધાર્યા કરતાં ૭૦ ટકા પાક ઓછો થતો હોવાની ફરિયાદ બાવતીન કેઇટસ ફર્ગોસ કરતા હતા. વાહનવ્યવહાર તથા અન્ય શહેરી પ્રવૃત્તિઓને કારણે ફેલાતા પ્રદૂષણને લીધે એ ફૂગ થતી હોવાનું તેઓ માને છે. ફૂગને કારણે કેળના પાંદડાંનો ઉપરનો ભાગ કાળો પડી જતો હતો. તેઓ બાગાયતીને બાળઉછેરની પ્રવૃત્તિ સમાન માને છે. ઊભા પાક અને ફળોને પોતાનાં સંતાન સમાન ગણે છે.
ADVERTISEMENT
ફર્ગોસને ૧૦ એપ્રિલથી પાકની સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો હતો. વાતાવરણના પ્રદૂષણ અને ઝાડ-છોડ-વેલા પરના જીવાણુઓના વિકાસ વચ્ચે સંબંધ હોવાનું અનેક અભ્યાસોમાં નોંધાયું છે. ૬૮ વર્ષના બાવતીન કેઇટસ ફર્ગોસ કહે છે કે ‘કેળનાં પાંદડાં પર કાળા ડાઘ પડતાં પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટો-સિન્થેસિસની પ્રક્રિયા મંદ પડે છે. એને કારણે છોડવાની ડાળીઓ નબળી પડે છે. પાંદડાં પીળાં પડવા માંડતાં કેળ પર લાગેલી કેળાની લૂમના વિકાસમાં અવરોધ પેદા થાય છે. કેળાંનો કુદરતી વિકાસ અટકે છે અને કેળાં નિર્ધારિત મુદતથી વહેલાં પાકી જાય છે. કેળાની છાલ પર પણ કાળા ડાઘ પડતાં લોકો એ ખરીદવાનું ટાળે છે. એથી અમારે વેચાણ વધારવા માટે ભાવ ઘટાડવા પડે છે. પાણી છાંટવા છતાં એ કાળા ડાઘ જતા નથી. એ ડાઘની જગ્યા પર અડીએ તો એ ડામર જેવું લાગે છે.’