રાજ્યમાં એક જ દિવસે ૮ હત્યાથી ખળભળાટ
પ્રતિકાત્મક તસવીર
શનિવાર મહારાષ્ટ્ર રાજ્ય માટે ગોઝારો નીવડ્યો હતો. શિર્ડીમાં એક જ કુટુંબના ૩, નવી મુંબઈમાં ૩, મુંબઈમાં ૧ અને નાગપુરમાં ૧ મળીને કુલ ૮ હત્યાઓ થવાથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
શિર્ડીના રાહત તાલુકાના નિમગાંવમાં શનિવારે સવારે એક જ કુટુંબના ત્રણ જણની હત્યા થવાથી પરિસરમાં સન્નાટો છવાઈ ગયો હતો. પાડોશમાં રહેનારાએ એક જ કુટુંબના ત્રણ જણના ઢીમ ઢાળી દીધા હતા. નામદેવ ઠાકુર, દગાબાઈ નામદેવ ઠાકુર અને ખુશી ઠાકુર પર પાડોશમાં રહેતા અર્જુન પન્હાળેએ સવારે સાડાછ વાગ્યે દાતરડાથી હુમલો કર્યો હતો. જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી રૂમની અંદર છુપાઈ ગયો હતો જેની બાદમાં પોલીસે ધરપકડ કરી હતી.
શિર્ડીની જેમ નવી મુંબઈના તુર્ભે એમઆઇડીસીમાં આવેલા બોનસરી ગામના ભંગારના ગોદામમાં બે ભાઈ સહિત ત્રણ કામગારની હત્યા થવાની ચોંકાવનારી ઘટના બની હતી. ગોદામનો સામાન ચોરી કરવાને ઇરાદે કામગારોની હત્યા કરાયાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. બોનસરી ગામમાં ગેરકાયદે ભંગારના ગોદામમાં આ હત્યા કરાઈ હતી. માથામાં કોઈક ભારે વસ્તુ ફટકારવાથી બે ભાઈઓ ૨૦ વર્ષનો ઇર્શાદ, ૧૯ વર્ષનો નૌશાદ અને ૨૮ વર્ષના રાજેશનાં મોત નીપજ્યાં હતાં. ત્રણેય યુવાન ઉત્તર પ્રદેશના હોવાનું જણાઈ આવ્યું હતું. હત્યા બાદ ત્રણેય કામગારના મૃતદેહ ગોડાઉનમાં છુપાવવામાં આવ્યા હતા જે શનિવારે સવારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બહાર કાઢ્યા હતા.
નાગપુરમાં પણ શનિવારે સવારે સાવલી ફાટા પાસે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવતીની ઓળખાણ ન થઈ શકે એ માટે એના ચહેરા પર ઍસિડ ફેંકાયાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસે મૃતદેહને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ પણ જુઓઃ આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી
ADVERTISEMENT
આવી જ રીતે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં શુક્રવારની મોડી રાત્રે બે મિત્રોએ એક યુવાન પર ગદડા-પાટા વરસાવીને મોતને ઘાટ ઉતારી દેવાની ચોંકાવનારી ઘટના બની હતી. અશ્વિનીકુમાર દૂબે નામના યુવાને પગાર બાબતે ઘરમાં જાણ કરતાં મિત્રો સાથે ઝઘડો કરતાં મિત્રો તેના પર તૂટી પડતાં તેણે જીવ ગુમાવ્યો હતો.