કોવિડ-19ને માત આપ્યા બાદ 73 વર્ષના વ્યક્તિએ જે કર્યું તે કોઈ માનશે નહીં
તસવીર સૌજન્યઃ કમલક્ષ્ય રાવની ફેસબુક પ્રોફાઈલ
મુંબઈમાં કોરોનાવાયરસનો કહેર સૌથી વધુ છે, આ બિમારીથી રિકવર થવા બાદ પણ ઘણી કાળજી લેવી પડે છે. એવામાં મલાડના એક રહેવાસીએ કોવિડ-19ને માત તો આપી પણ એ પછી સાત કલાક સુધી કુલ 42 કિલોમીટર દોડ્યા હતા.
મલાડના કમલક્ષ્ય રાવ બે મહિના પહેલા જ કોવિડ-19 વાયરસથી રિકવર થયા હતા. રિકવર થયા બાદ ઘણી કાળજી લેવી પડે છે, જોકે રાવ એકદમ સ્વસ્થ થયા છે અને તાજેતરમાં જ તે લંડનની વર્ચ્યુઅલ મેરાથોનમાં સાત કલાક સુધી કુલ 42 કિલોમીટર દોડ્યા છે.
ADVERTISEMENT
આ પહેલા જુલાઈમાં ડૉક્ટર પાસે ચેકઅપ કરતા પહેલા પણ 10 કિલોમીટર દોડ્યા હતા. કોવિડ-19 પૉઝિટિવ થયા હોવાની જાણ થતા તે ક્વૉરન્ટિન થયા હતા અને રિકવરી ઉપર ધ્યાન આપતા હતા, એમ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
રાવ ત્રણ દિવસ ક્લિનિકમાં અને છ દિવસ ઘરે રહ્યા હતા અને 11 દિવસ પાડોશના ઘરમાં રહ્યા હતા, જ્યાં કોઈ રહેતુ નહોતું. ફરી દોડી શકાશે કે નહીં તે ચકાસવા માટે તેમણે કાર્ડિઓલોજીસ્ટની સલાહ પણ લીધી હતી. તેમની પાસેથી ગ્રીન સિગ્નલ મળતા રાવે લંડન મેરેથોનમાં દોડવાનું નક્કી કર્યું હતું.
વર્ષ 2004માં તે એક ટેક્સટાઈલ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા. તેમણે કહ્યું કે, મને રનિંગનો ખૂબ જ શોખ છે એ મને 67 વર્ષની ઉંમરે સમજાયુ હતું. કોરોના મહામારીને લીધે લૉકડાઉન થતા હું ઘરમાં જ 50 કિલોમીટર જેટલુ દોડ્યો હતો. લંડન વર્ચ્યુઅલ મેરેથોનને હું પાંચથી છ કલાકમાં પૂરું કરી શક્યો હોત પરંતુ મે વિચાર્યું કે હાલ ધીમું દોડવામાં જ સમજદારી રહેશે.