માત્ર ૯૦ મિનિટમાં ૭ મોત : જોગેશ્વરીની હૉસ્પિટલ સામે આખરે પોલીસ ફરિયાદ
કિરીટ સોમૈયા અને મૃતકની પુત્રી નંદા ભામરેએ પોલીસ-તપાસની માગણી કરી
જોગેશ્વરીમાં પાલિકા સંચાલિત ટ્રૉમા કૅર સેન્ટરમાં મૃત્યુ પામનાર વ્યક્તિની પુત્રી અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ પોલીસમાં બીએમસી અને કૅર સેન્ટર વિરુદ્ધ ફરિયાદ કરીને તપાસની માગણી કરી છે. હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રૉમા કૅર સેન્ટરમાંની ખામીયુક્ત ઑક્સિજન સિસ્ટમને કારણે માત્ર દોઢ કલાકમાં સાત જણનાં મૃત્યુ થયાં હોવાનો આક્ષેપ કરતાં તેમણે બેદરકારીને કારણે મૃત્યુ થવા બદલ કૅર સેન્ટરની મૅનેજમેન્ટ સામે ગુનો નોંધવાની માગણી કરી હતી.
૩૦ મેએ મૃત્યુ પામેલા દાદા ભામરેની પુત્રી નંદા ભામરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે મારા પપ્પાને ૨૭ મેએ કૅર સેન્ટરમાં દાખલ કરાયા હતા અને ૨૯ મેએ તેમની કોવિડ-19 ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. કૅર સેન્ટરમાં સંભાળ લેવામાં આવતી ન હોવાની ફરિયાદ કર્યા છતાં કોઈએ ધ્યાન આપ્યું નહોતું. ૩૦ મેએ અમને તેમના મૃત્યુની જાણ કરીને તેઓ વેન્ટિલેટર પર હોવાનુ જણાવાયું હતું.
૩૦ મેએ ખામીયુક્ત ઑક્સિજન સિસ્ટમને કારણે કૅર સેન્ટરમાં દોઢ કલાકમાં ૭ જણનાં મૃત્યુ થયાં હતાં. અમે બીએમસી અને હૉસ્પિટલ મૅનેજમેન્ટ સામે ગુનો નોંધીને તપાસની માગણી કરી છે એમ કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું.
આ જ ખામીયુક્ત ઑક્સિજન સિસ્ટમને કારણે ૧૮ મેએ મૃત્યુ પામેલા ૩૩ વર્ષના મોહમ્મદ શાદિક શેખ ચાર દિવસ પહેલાં જ હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમને પણ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમનું મૃત્યુ પણ હૉસ્પિટલની બેદરકારીને કારણે થયું હોવાનું મૃતકના ભાઈ મોહમ્મદ હુસેન શેખે જણાવ્યું હતું. કૅર સેન્ટરનાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. વિદ્યા માનેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઑક્સિજનનો પુરવઠો છે, કોઈ જ તકલીફ નથી. જ્યાં સુધી મૃત્યુની વાત છે ત્યાં સુધી પ્રાથમિક અહેવાલ રાજ્ય ટાસ્ક ફોર્સને સુપરત કરવામાં આવ્યો છે અને તેઓ તપાસ કરી રહ્યા છે.