પાલઘરનાં ૬૬ જળસ્રોત પ્રદૂષિત થઈ જતાં એને સીલ કરાયાં
પ્રતીકાત્મક તસવીર
પાલઘરના જિલ્લા વહીવટી તંત્રએ ૧૬ ગામોનાં ૬૬ જળસ્રોતો દૂષિત થઈ જતાં સીલ કરી દીધાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
વહીવટી તંત્રની યાદી પ્રમાણે આ સ્થળોનું પાણી પીવા માટે અયોગ્ય હતું અને એનાથી સ્થાનિક રહેવાસીના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હતું.
ADVERTISEMENT
આ પૉઇન્ટ્સને સીલ કરવાનો નિર્ણય થોડા મહિના અગાઉ નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના આદેશને પગલે લેવાયો હતો.
એનજીટીએ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી), જિલ્લા સત્તાધીશો અને અન્યોને આ મામલે સુધારાત્મક પગલાં ભરવાનો આદેશ કર્યો હતો.
એનજીટી દ્વારા રચાયેલી સમિતિની ભલામણોના આધારે આરોગ્ય વિભાગે તારાપુર એમઆઇડીસી વિસ્તારનાં ૧૬ ગામોનો સર્વે હાથ ધર્યો હતો. આ ગામોમાં તારાપુર, કમબોડે, ગીવલી, દાંડી, ઉચ્છેલી, મુર્બે, અલેવાડી, ટેમ્બી નવાપુર, સાતપતિ, ખરેકુરન, શીરગાંવ, માહિમ, વદરાઇ, કેલવા અને દાદરાપાડાનો સમાવેશ થાય છે.
૧૬ ગામોનાં ૮૬ જાહેર અને ૫૩૫ ખાનગી સ્રોતોમાંથી પાણીનાં સૅમ્પલ લેવાયાં હતાં, જેમાંથી પાંચ જાહેર અને ૬૧ ખાનગી સ્રોતો પ્રદૂષિત જણાયાં હતાં.
જિલ્લા વહીવટી તંત્રએ આ સ્થળોએ ડિસ્પ્લે બોર્ડ મૂકીને ત્યાંથી પાણી ન પીવાની ચેતવણી આપવાનો આદેશ આપ્યો છે.