લંડનથી આવેલા ૫૯૧ મુસાફરોમાંથી એકેય કોવિડ સિમ્પ્ટમૅટિક ન જણાયા
પ્રતીકાત્મક તસવીર
લંડનથી ગઈ કાલે મુંબઈ આવી પહોંચેલી ત્રણ ફ્લાઇટ્સમાં ૫૯૧ મુસાફરોની કોરોના-ટેસ્ટના રિપોર્ટ્સમાં એક પણ સિમ્પ્ટમૅટિક નહીં હોવાનું ફલિત થયું છે. એમાંથી ૨૯૯ જણને જુદી-જુદી હોટેલોમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે અને ૨૯૨ને ઍરપોર્ટ પર ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે ક્વૉરન્ટીન ફેસિલિટીઝ તથા અન્ય નિયમોની માહિતી આપી હતી.
મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘બ્રિટનમાં ફાઇલોજેનેટિક ક્લસ્ટર ઑફ કોરોના વાઇરસનો પ્રસાર શરૂ થયો હોવાના સમાચારને પગલે બ્રિટનથી ભારતની તમામ ફ્લાઇટ્સ હંગામી ધોરણે રદ કરવામાં આવી છે. એ અનેક ગણા વધારે સક્ષમ વાઇરસનો પ્રસાર રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ કેટલીક સૂચનાઓ બહાર પાડી છે. બ્રિટનથી આવતા મુસાફરો માટે તેમના પોતાના ખર્ચે નજીકની હોટેલમાં સાત દિવસના ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરન્ટીનની ફરજિયાત જોગવાઈ છે. સિમ્પ્ટોમૅટિક પૅસેન્જર્સને સેવન હિલ્સ હૉસ્પિટલમાં મોકલવામાં આવશે. પાંચમા અને સાતમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટનો ખર્ચ પ્રવાસી ચૂકવશે. એ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવશે તો એવા પૅસેન્જર્સને સાત દિવસના ફરજિયાત હોમ ક્વૉરન્ટીનમાં રહેવાના આદેશ સાથે ડિસ્ચાર્જ આપવામાં આવશે. પોઝિટિવ સિમ્પ્ટમૅટિક દરદીઓને ૧૪ દિવસ હોટેલમાં કે કોવિડ-19 હૉસ્પિટલમાં ક્વૉરન્ટીન કરવામાં આવશે. એ પ્રવાસીઓ માટે વાહનવ્યવહારની વ્યવસ્થા બેસ્ટ અન્ડરટેકિંગની બસોમાં કરવામાં આવશે.’