ગીરમાં નદીઓ સુકાઈ જતાં પ્રાણીઓ માટે ૧૪૦ સિમેન્ટની ટાંકીઓ મૂકાઈ
ગીરના સિંહ અને અન્ય પ્રાણીઓને પીવાનું પાણી પૂરી પાડતાં ઝરણાં, નાની તલાવડી અને માલણ નદીમાં પણ પાણી સુકાઈ જતાં ગુજરાતના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે ગીરના જંગલમાં ૧૪૦ સિમેન્ટની ટાંકીઓ મુકાવી છે. ગુજરાતનો ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંભાળતા મંગુભાઈ પટેલે કહ્યું હતું કે ‘પાણી માટે સિંહો બહાર નીકળી જવાના આઠેક બનાવો બન્યા એ પછી પાણીની સિમેન્ટની ટાંકી મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ટાંકી એ પ્રકારની બનાવવામાં આવી છે જેથી અઢી-ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતાં પ્રાણીઓ સરળતાથી પાણી પી શકે અને પાણીમાં બેસવું હોય તો થોડી વાર એમાં બેસી પણ શકે.’
ADVERTISEMENT
ચોમાસાની ઋતુમાં સિંહ અને અન્ય પ્રાણીઓનો સમાગમ થતો હોય છે, આ જ કારણે ગીરમાં આ સમયગાળામાં પ્રવેશ-પ્રતિબંધ ચાલી રહ્યો છે, પણ પાણીના પ્રશ્નને કારણે મૂકવામાં આવેલી સિમેન્ટની ટાંકી ભરવા જવા માટે રાતના આઠથી બાર વાગ્યાના સમય દરમ્યાન પાણીના ટૅન્કરને પ્રવેશ આપવામાં આવશે. જોકે એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે ઓછામાં ઓછા સમયમાં પાણીની ટાંકીઓ ભરીને ટૅન્કર બહાર નીકળી જાય, જેથી પ્રાણીઓ ઓછામાં ઓછાં ડિસ્ટર્બ થાય.