૩૮ વર્ષની મહિલાએ ૧૭મા બાળકને જન્મ આપ્યો, શિશુનું મૃત્યુ
મહારાષ્ટ્રની એક સ્થળાંતરિત શ્રમિક મહિલાએ તાજેતરમાં પાડોશી રાજ્યમાં તેના ૧૭મા સંતાનને જન્મ આપ્યો હતો, પરંતુ નવજાત શિશુ બચી શક્યું ન હતું એમ એક આરોગ્ય અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મજાલગાંવ તાલુકાની રહેવાસી લંકાબાઈ (પૂરું નામ જાહેર કરવામાં આવ્યું નથી)એ કર્ણાટક જિલ્લાના બેલગામમાં આવેલા શેરડીના ખેતરમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.
દુકાળગ્રસ્ત બીડ પ્રદેશનાં હજ્જારો સ્ત્રી-પુરુષો લણણીની મોસમ દરમ્યાન શેરડીનાં ખેતરોમાં કામ કરવા માટે મહારાષ્ટ્રના અન્ય ભાગો અને કર્ણાટકમાં પણ સ્થળાંતર કરે છે.
અમને જાણવા મળ્યું છે કે લંકાબાઈએ તેના ૧૭મા સંતાનને જન્મ આપ્યો હતો, તે બાળકી થોડી જ વારમાં મૃત્યુ પામી હતી. અમે વધુ વિગતો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એમ બીડના આરોગ્ય અધિકારી ડૉ. આર. બી. પવારે જણાવ્યું હતું.
વિચરતા ગોપાલ સમુદાયની મહિલાએ ગયા સપ્ટેમ્બર મહિનામાં આરોગ્ય અધિકારીઓનું ત્યારે ધ્યાન ખેંચ્યું હતું જ્યારે તેમને જાણવા મળ્યું કે તે ૨૦મી વખત ગર્ભવતી થઈ હતી. તેને ૧૧ બાળકો છે, એમાંથી નવ છોકરીઓ છે. તેને ત્રણ કસુવાવડ થઈ હતી, જ્યારે પાંચ બાળકો મૃત્યુ પામ્યાં હતાં.