પાંચ દિવસમાં ૩૫ ટકા વધુ કેસ, કોરોના અનલૉક?
મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓએ દાદર રેલવે-સ્ટેશને નાગરિકોની ઍન્ટિજન ટેસ્ટ કરી હતી. (તસવીર: આશિષ રાજે)
ફેબ્રુઆરીની શરૂઆતના ૯ દિવસની સરખામણીમાં છેલ્લા પાંચ દિવસમાં મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા ૩૫ ટકા જેટલી વધી હતી અને રોજિંદી ટેસ્ટિંગની સંખ્યા ૧૪,૦૦૦થી વધારીને ૧૬,૦૦૦ પર પહોંચી છે. દર ૧૦૦ ટેસ્ટમાં પૉઝિટિવ કેસનું પ્રમાણ પણ વધ્યું છે. ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ફેબ્રુઆરીના પ્રારંભિક ૯ દિવસમાં ૨.૮ ટકા હતો, એ હાલમાં ૩.૪ ટકાએ પહોંચ્યો છે. મુંબઈ તથા આસપાસનાં શહેરો (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન-એમએમઆર)માં પાંચ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા ૩૦ ટકા વધી છે.
જોકે કેસની સંખ્યા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં હતી એટલી વધારે નથી, પરંતુ કેસમાં ઘટાડાનો સિલસિલો અટકી ગયો છે. ટેસ્ટ પૉઝિટિવિટી રેટ (ટીપીઆર) નોંધપાત્ર પ્રમાણમાં ઓછો છે, પરંતુ આગલા ૯ દિવસની સરખામણીમાં વધ્યો છે. લોકોના ચહેરા પર સ્મિત લાવી શકે એવી એક બાબત એ છે કે આ રોગચાળાનો મૃત્યુદર સતત ઘટી રહ્યો છે. કોરોનાના દરદીઓનો મૃત્યુદર જાન્યુઆરીમાં ૭.૬ ટકા હતો, એ ફેબ્રુઆરીમાં ઘટીને પાંચ ટકાથી નીચે ઊતર્યો છે. કોરોના-ઇન્ફેક્શનના દરદીઓનો રોજિંદો મૃત્યુદર પાંચ ટકાથી ઓછો છે.
ADVERTISEMENT
ગયા ડિસેમ્બરમાં રોજના કોરોના-કેસની સરેરાશ સંખ્યા ૬૪૬ હતી અને ટીપીઆર ચાર ટકા હતો. છેલ્લા પાંચ દિવસમાં રોજના કોરોના-કેસની સરેરાશ સંખ્યા ૫૪૯ અને ટીપીઆર ૩.૪ ટકા નોંધાયો છે. ૧થી ૯ ફેબ્રુઆરી સુધી રોજના કેસની સરેરાશ ૪૦૮ હતી અને ૧૦થી ૧૪ ફેબ્રુઆરી સુધી રોજના કેસની સરેરાશ ૫૪૯ નોંધાતાં ૩૫ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ આંકડામાં વૃદ્ધિ ટેસ્ટિંગમાં વધારાને કારણે નોંધાતી હોવાનો દાવો કરે છે, પરંતુ પૉઝિટિવિટી રેટ પણ વધી રહ્યો છે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ૧થી ૯ ફેબ્રુઆરી સુધી થાણેમાં રોજના ૭૭ કેસની સરેરાશ ગયા બુધવારથી રવિવારના ગાળામાં ૮૫ ઉપર પહોંચી હતી. એવી જ રીતે નવી મુંબઈમાં ૭૦ની સરેરાશનો આંકડો ૮૯ પર અને કલ્યાણ-ડોમ્બિવલીમાં ૬૬ની સરેરાશનો આંકડો ૮૧ પર પહોચ્યો હતો.