શિવસેનાના ૫૬માંથી ૩૫ વિધાનસભ્યો અસંતુષ્ટ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ રાજ્યમાં શિવસેનાના ૫૬માંથી ૩૫ વિધાનસભ્યો અસંતુષ્ટ હોવાનો દાવો કર્યો છે. ગઈ કાલે થાણેમાં એક સમારંભ વેળા પત્રકારો સાથે વાતચીત કરતાં બીજેપીના રાજ્યસભાના સભ્ય નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેની સરકાર નિષ્ક્રિય અને અક્ષમ હોવાનો મત વ્યક્ત કરતાં બીજેપી ફરી રાજ્યમાં સત્તા પર આવવાનો આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો.
શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપીની મહા વિકાસ આઘાડી સરકાર રચવામાં પાંચ અઠવાડિયાં કરતાં વધારે સમય પસાર થયો એ ઘટનાને આઘાડી અને ખાસ કરીને શિવસેનાની શિથિલતા ગણાવતાં જણાવ્યું હતું કે ‘ખેડૂતોની લોનમાફીનું વચન પોકળ છે. એ લોનમાફીનો અમલ ક્યારે કરવામાં આવશે એની કોઈ મુદત દર્શાવવામાં આવી નથી. ઉદ્ધવ ઠાકરે ઔરંગાબાદના પ્રવાસ દરમ્યાન મરાઠવાડા પ્રાંત માટે નાણાંની ફાળવણીની જાહેરાત કર્યા વગર પાછા આવ્યા. એ તેમની વહીવટી અક્ષમતાનું પ્રતીક છે. સરકાર ચલાવવા વિશે કોઈ ગતાગમ ન હોય તેમની પાસે કોઈને કશી અપેક્ષા ન હોય.’
ADVERTISEMENT