૧૮૮૫માં હિન્દુ રામ ચબૂતરાને જન્મસ્થાન કહેતા, બાકીની જગ્યાએ મસ્જિદ હતી
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : (જી.એન.એસ.) અયોધ્યા ભૂમિવિવાદ મુદ્દે સોમવારે ૩૪મા દિવસે સુનાવણી થઈ હતી. આજે મુસ્લિમ પક્ષ તરફથી વકીલ શેખર નાફડેએ દલીલ કરી હતી. તેમણે કહ્યું કે, ૧૮૮૫માં વિવાદીત વિસ્તારમાં હિન્દુઓનો પ્રવેશ ફક્ત બહાર આંગણામાં આવેલા ચબૂતરા અને સીતા રસોઈ સુધી જ સીમિત હતો. હિન્દુ રામ ચબૂતરાને જન્મસ્થાન કહે છે. બાકીની જગ્યા મસ્જિદ માટેની હતી, જ્યાં મુસ્લિમ લોકો નમાઝ અદા કરતા હતા. આ પહેલાં શેખર નાફડેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ પર મામલો સમય પર ખતમ કરવાનું પ્રેશર છે, જેથી સંક્ષિપ્તમાં હું મારી વાત કોર્ટ સમક્ષ મૂકીશ.
મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું કે હાલનો અને ૧૮૮૫નો કેસ બન્ને એક જેવા જ છે. ફરક માત્ર એટલો જ છે કે ૧૮૮૫માં હિન્દુ પક્ષના ફક્ત એક ભાગ પર પોતાનો દાવો રજૂ કરાયો હતો અને તે સમગ્ર વિવાદીત વિસ્તાર પર પોતાની માલિકી હકનો દાવો ઠોકી રહ્યું છે. હવે સવાલ એ ઊઠે છે કે શું તેને સ્વીકારી શકાય છે કે નહીં. ૧૮૮૫માં મહંતનો કેસ તમામ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો કે નહીં? અલાહાબાદ હાઈ કોર્ટના નિર્ણય પર સવાલ કરતા નાફેડે એક ન્યાયિક નિર્ણયોનો હવાલો આપ્યો અને કહ્યું કે રેસ જ્યુડીકેટાના નિયમોનું ધ્યાન હાઈ કોર્ટે ન રાખ્યું.