2050 સુધી જળવાયું પરિવર્તનથી 30 કરોડ લોકો સમુદ્રમાં ડૂબી જશે : રિપોર્ટ
(જી.એન.એસ.) દુનિયા જો ક્લાઈમેટ ચેન્જના કારણે આવી રહેલા બદલાવોને રોકવા માટે સંયુક્ત રીતે પ્રયાસ નહીં કરે તો ૨૦૫૦ સુધીમાં ૩૦ કરોડ લોકો દરિયામાં તણાઈ જશે તેવી ચેતવણી યુએનના પ્રમુખ એન્ટોનિયો ગુટેરસે આપી છે. આશિયાન સંમેલનમાં ભાગ લેવા માટે બૅન્ગકૉક પહોંચેલા ગુટેરસે સાથે-સાથે કહ્યું હતું કે જળવાયુ પરિવર્તનના કારણે દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ભારત, ચીન, જાપાન અને બંગલા દેશ પર તેના કારણે સૌથી વધારે જોખમ છે. તેમણે એક જર્નલમાં પ્રકાશિત અહેવાલના હવાલાથી કહ્યું હતું કે, દરિયાની સપાટી અનુમાન કરતાં પણ વધારે ઝડપથી વધી રહી છે. જો તમામ દેશ જરૂરી કાર્યવાહી નહીં કરે તો તેનું પરિણામ બહુ ભયાનક હશે.
દ.એશિયામાં દરિયામાં પાણીનું પ્રમાણ વધવાથી 30 કરોડ લોકો તણાઇ જશે
તેમણે કહ્યું હતું કે દરિયામાં ૩૦ કરોડ લોકો તણાઈ જશે અને સૌથી વધારે ખતરો દક્ષિણ એશિયાના દેશો પર જ છે. થાઈલૅન્ડની ૧૦ ટકા વસતી પર તેના કારણે ખતરો સર્જાશે. ગુટેરસના મતે આ ખતરાને પહોંચી વળવા માટે સદીના અંત સુધી વૈશ્વિક તાપમાનમાં ૧.૫ ડિગ્રી વધારાનો જે અંદાજ છે તેને ખોટો પાડવો પડશે અને તાપમાનમાં થતો વધારો રોકવા માટે કાર્બન એમિશનને ૪૫ ટકા સુધી ઘટાડવું પડશે.
વર્ષ 2050 સુધીમાં કાર્બન એમિશન શુન્ય કરવું પડશે
એટલું જ નહીં પણ વર્ષ 2050 સુધીમાં કાર્બન એમિશન શૂન્ય કરવું પડશે. આ માટે તમામ દેશે પ્રતિબધ્ધતા દાખવવી પડશે. ભવિષ્યમાં કોલસાથી ચાલતા તમામ પાવર સ્ટેશન પર રૉક લગાવવી પડશે.