દેશની અઢી લાખ ગ્રામ પંચાયતોનું ઑપ્ટિકલ ફાઇબરથી જોડાણ થશે
અમદાવાદમાં યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં સૅમ પિત્રોડાએ કહ્યું હતું કે ‘ઈ-ગવર્નન્સ દ્વારા શાસનતંત્રમાં વ્યાપક ક્રાન્તિકારી સુધારા કરીને પરિવર્તન લાવવા કેન્દ્ર સરકારે એક લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે મહત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધર્યો છે. ડેમોક્રેટાઇઝિંગ ઇન્ફર્મેશન એટલે કે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ઉપયોગ મારફત વિવિધ ક્ષેત્રે માહિતીનો ઝડપી અને પ્રચંડ ફેલાવો કરવાના આ કાર્યક્રમના પરિણામે અગામી બેએક વર્ષમાં વિવિધ સંસ્થાઓ, સરકારી વિભાગો, પંચાયતો વગેરેને કનેક્ટિવિટી પૂરી પાડવાનું કાર્ય પૂરું થતું જોવા મળશે.’
ADVERTISEMENT
તેમણે કહ્યું હતું કે ‘૧૨૦ અબજની વસ્તીવાળા આપણા દેશમાં આજે ૯૦ કરોડ જેટલા મોબાઇલ ટેલિફોનનો ઉપયોગ થઈ રહ્યો છે. કનેક્ટિવિટીનો બીજો વિશાળ તબક્કો શરૂ થયો છે. એ દરમ્યાન ગવર્નન્સ એટલે કે શાસનતંત્ર, આરોગ્ય, ખેતીવાડી, શિક્ષણ વગેરે ક્ષેત્રે ઇન્ટરનેટ, વેબસાઇટ, સૉફ્ટવેર વગેરેની મદદથી મોટું પરિવર્તન આકાર લઈ રહ્યું છે. દેશમાં આ માટે આવતી પેઢીને ધ્યાનમાં રાખીને વિશાળ પબ્લિક ઇન્ફર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાઈ રહ્યું છે.’