ગણેશોત્સવ મંડળનું રજિસ્ટ્રેશન 24 ઑગસ્ટ સુધી કરી શકાશે
ગણેશોત્સવને હવે ૧૪ દિવસ બાકી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હજી સુધી ૧૧,૦૦૦માંથી માત્ર ૧૦૦૦ જેટલાં મંડળોને જ પરવાનગી આપી શકાઈ હોવાથી ઑનલાઇન રજિસ્ટ્રેશન ૨૪ ઑગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી ૨૬૨૦ મંડળોએ પરવાનગી મેળવવા માટે અરજી કરી છે, જેમાંથી ૧૮૯ રદ કરીને ૨૧૯૮ અરજીને સ્ક્રૂટિની કમિટી પાસે મોકલી આપવામાં આવી છે.
મંડળોના રજિસ્ટ્રેશન માટેની ઑનલાઇન સિસ્ટમમાં વચ્ચે થોડી ટેક્નિકલ ખામી સર્જાતાં તેઓ અરજી નહોતા કરી શક્યા એથી મેયર વિશ્વનાથ મહાડેશ્વરે ટેક્નિકલ ટીમને રજિસ્ટ્રેશનની તારીખ વધારવાનું સૂચન કર્યું હતું.
ADVERTISEMENT
જર્જરિત પુલો પરથી વિસર્જનયાત્રા નહીં લઈ જઈ શકાય
ગણેશવિસર્જનના ૭મા અને ૧૧મા દિવસે ગણેશમંડળો આ વખતે કેટલાક જર્જરિત પુલો પરથી વિસર્જનયાત્રા નહીં લઈ જઈ શકે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ શહેરના કેટલાક જર્જરિત પુલોની યાદી બહાર પાડી છે જેમાં જુહુતારા રોડ પુલ, બાંદરા-ધારાવી મીઠી નદી પુલ, વાકોલા પાઇપલાઇન સર્વિસ રોડ પુલ, નીલકંઠ નાલા - ઘાટકોપર, પિરામલ નાલા - લિન્ક રોડ ગોરેગામ, ચંદાવરકર નાલા પુલ - મલાડ વગેરેનો સમાવેશ છે.