બિલ્ડરોની છેતરપિંડી રોકવા ફ્લૅટોની સાઇઝ માપશે સરકાર
ફ્લૅટ ખરીદતા ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય એ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર ફ્લૅટોની સાઇઝ માપવાની તૈયારી કરી રહી છે. બિલ્ડરો માટે ફ્લૅટોની સાઇઝ માટે લીગલ મેટ્રોલૉજી વિભાગ પાસેથી રજિસ્ટ્રેશન વખતે સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત બનશે. અધિકારીઓ માને છે કે એથી છેતરપિંડી થવાના કિસ્સા ઓછા થશે. ઘણી વાર બિલ્ડરો અમુક સાઇઝનું વચન આપી એનાથી ઓછા એરિયાનો ફ્લૅટ આપે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે માત્ર કાર્પેટ વિસ્તાર જ ગણતરીમાં લેવામાં આવશે. અન્ય એક બીજો મોટો ફેરફાર એ છે કે ફ્લૅટના વિસ્તારની ગણતરી ચોરસ ફૂટને બદલે ચોરસ મીટરમાં થશે. જોકે કાનૂની મેટ્રોલૉજી વિભાગમાં તમામ ફ્લૅટોનું માપ લઈ શકે એટલા કર્મચારીઓ નથી. લીગલ મેટ્રોલૉજી વિભાગના અસિસ્ટન્ટ કન્ટ્રોલર બી. ઝવેરે જણાવ્યું હતું કે ‘હાલમાં આ વિશે હું તમને કંઈ જણાવી શકું એમ નથી. મારા વરિષ્ઠો તમને આ બાબતે માહિતી આપશે.’
ઝવેરના વડા સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ સંજય પાન્ડે પ્રયાસ કરવા છતાં મળી શક્યા નહોતા. બિલ્ડરોએ આ પગલાને આવકાર્યું હતું, પરંતુ બધા ફ્લૅટો માપવા સરકાર કર્મચારીઓ ક્યાંથી લાવશે એ વિશે શંકા જાહેર કરી હતી.