ચાર વર્ષે રાણી સતી માર્ગના રહેવાસીઓનો પ્રદૂષિત પાણીથી છુટકારો
મલાડ-ઈસ્ટના રાણી સતી માર્ગને ૨૦૦૮થી સતાવી રહેલી પ્રદૂષિત પાણીની સમસ્યાથી હવે છુટકારો મળ્યો છે. શિવસેનાના વ્યાપારી સેલના ઉપવિભાગ પ્રમુખ હાજી શરાફત અલીની આટલાં વર્ષોની મહેનત બાદ મુંબઈ મહાનગરપાલિકાએ પીવાના પાણીની પાઇપલાઇન બદલી નાખતાં રહેવાસીઓનો ત્રાસ ઓછો થયો છે.
ADVERTISEMENT
મલાડ-ઈસ્ટની પાણીની સમસ્યા વિશે માહિતી આપતાં હાજી શરાફત અલીએ કહ્યું હતું કે ‘મલાડ-ઈસ્ટમાં સુધરાઈનું શૌચાલય ટિપકો હાઇટ્સની સામે આવેલું છે અને આ શૌચાલયની ચેમ્બર ભરાઈ જાય ત્યારે ગંદું પાણી ઓવરફ્લો થતું હતું. આની બાજુમાંથી જ રાણી સતી માર્ગ અને આસપાસના વિસ્તારોમાં પાણીનો પુરવઠો કરવાની પાઇપલાઇન પસાર થતી હતી. ૨૦૦૮થી દર થોડા દિવસે ગંદા પાણીની સમસ્યાનો રહેવાસીઓને સામનો કરવો પડતો હતો અને દર વખતે સુધરાઈ કામચલાઉ રાહત આપીને જતી રહેતી હતી. આને કારણે જ આ વિસ્તારમાં રોગચાળાનું પ્રમાણ પણ વધી ગયું હતું. લગભગ દરેક ઘરમાંથી લોકો હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. હું પણ ૨૦૦૮થી આ સમસ્યાના નિરાકરણ માટે સુધરાઈ સાથે પ્રયત્ન કરતો હતો. થોડા સમય પહેલાં સુધરાઈ પાસે પાણીની પાઇપલાઇનમાં કૅમેરા ઉતારીને જોવાની નવી પદ્ધતિ આવી ત્યારે આ પાઇપલાઇનની સમસ્યા શોધવા માટે કૅમેરા ઉતારવાની ભલામણ મેં કરી હતી. સુધરાઈના શૌચાલય પાસેની પાઇપલાઇનની મને શંકા હોવાથી આ જગ્યાએ જ કૅમેરા ઉતારવા કહ્યું હતું. સુધરાઈના અધિકારીઓએ કૅમેરા ઉતાર્યા ત્યારે મારી શંકા સાચી પડી હતી. આ પાઇપલાઇનમાં સાત સ્થળે ગળતર હોવાનું જણાયું હતું. આ ઉપરાંત પાઇપલાઇન પણ જર્જરિત થઈ ગઈ હોવાનું જણાતાં પાઇપલાઇન બદલવાનો આગ્રહ રાખ્યો અને આખરે સુધરાઈએ ૪૦ મીટર લાંબો પાઇપલાઇનનો ટુકડો છ ઇંચ પહોળો લગાવતાં હવે ગંદા પાણીની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. આગામી દિવસમાં હજી એક પાઇપનો ટુકડો બદલવામાં આવશે અને પછી આ સમસ્યાનું કાયમી નિરાકરણ થઈ જશે.’