બોરાબજારના રહેવાસીઓ ઉંદરથી પરેશાન
ગંદા પાણીની સમસ્યા ઓછી થઈ જ નથી ત્યારે હવે બોરાબજારમાં એક નવી સમસ્યા નિર્માણ થઈ છે, એ છે ઉંદરની. બોરાબજારના રહેવાસી હવે ચોર કે પછી કોઈથી ડરતા નથી, પણ તેમનું કહેવું છે કે તેમને ફક્ત ઉંદરથી ડર લાગે છે, કારણ કે તેમના ઘરમાં ઉંદર આવીને ચુપકેથી તેમનું જમવાનું જમી જાય છે અને તેમને ખૂબ હેરાન કરે છે. ઉંદરના ત્રાસને લીધે અહીંના રહેવાસીઓએ ઘરના દરવાજા અને બારી પર લોખંડની જાળીઓ લગાવી દીધી છે.
ADVERTISEMENT
બોરાબજારના ૭ નંબરના દાતારનિવાસ બિલ્ડિંગમાં રહેતા ૫૩ વર્ષના પ્રફુલ્લ પટેલે મિડ-ડે LOCALને કહ્યું કે ‘છેલ્લા એક મહિનાથી અમારા વિસ્તારોમાં ઉંદરોની સંખ્યા વધી ગઈ છે. હાલમાં અમારા ઘરે રોજ મોટા-મોટા ઉંદરો અમને દેખાઈ આવે છે. ઘરમાં બનાવેલી રસોઈ પણ તેઓ જમીને જાય છે, એથી અમારે એ ફેંકી દેવું પડે છે. ઉંદરો ઘરમાં અમુક જગ્યાએ છુપાઈને રહે છે અને ફક્ત રાત્રે અથવા બપોરે જ્યારે ઘરમાં એકાંત હોય એ વખતે બહાર આવે છે અને મસ્ત મજાથી ઘરમાં જે પણ અમે જમવાનું બનાવેલું હોય એ ખાઈ લે છે. આ ઉંદરો એટલા ખતરનાક છે કે તેઓ ઘરની બારીઓ અને દરવાજાની જાળીઓ પણ કતરી નાખે છે, એથી હાલમાં અમે ઘરના દરવાજે અને બારીઓ પર લોખંડની જાળીઓ લગાવી દીધી છે એને ઉંદરો કાતરી શકતા નથી.’
પ્રફુલ્લ પટેલના પુત્ર હિરેન અને ચિરાગે મિડ-ડે LOCALને કહ્યું કે ‘રોજ રાત્રે જ્યારે અમે સૂઈ જઇએ છે એ વખતે ઉંદરો અમારા ઉપરથી કૂદકા મારતા હોય છે, એથી અમારી ઊંઘ પણ ઊડી જાય છે. અમારી ભણવાની બુક્સ પણ ઉંદરો કાતરી નાખે છે.’
એ જ બિલ્ડિંગમાં રહેતાં ૪૫ વર્ષનાં ગૃહિણી આશા જિતેન્દ્ર પટેલે મિડ-ડે LOCALને કહ્યું કે ‘ઉંદરોના ત્રાસને કારણે અમે ઘરની બારીઓ પર લોખંડની જાળીઓ લગાવી દીધી છે. છેલ્લાં ૨૩ વર્ષથી હું આ સોસાયટીમાં મારા પતિ જિતેન્દ્ર અને મારાં બે બાળકો સાથે રહું છું, પણ પહેલી વાર અમને ઉંદરનો ત્રાસ સતાવી રહ્યો છે. જોકે અહીંની ગટરો અને રસ્તાઓ પણ સાફ કરવામાં આવતાં નથી એથી એમાં સતત કચરો ભરાઈ જાય છે.’