વગર વરસાદે ઘાટકોપરના પંતનગરને મળ્યું ગંદું પાણી
ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં વગર વરસાદે ગયા અઠવાડિયે ત્રણ દિવસ પીવાનું ગંદું પાણી આવતાં પંતનગરના રહેવાસીઓમાં રાડ પડી ગઈ હતી. જોકે સુધરાઈએ પાણીનો પુરવઠો આપતી પાઇપલાઇનની જગ્યામાં થયેલી ફેરબદલીને લીધે આ સમસ્યા સર્જાઈ હોવાની સ્પષ્ટતા કરી હતી. એની સામે સ્થાનિક રહેવાસીઓ કહે છે કે આ બાબતની પહેલેથી જાહેરાત થવી જોઈતી હતી.
ADVERTISEMENT
પતંનગરના ગુજરાતી રહેવાસી દિલીપ પુરોહિતે આ માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વગર વરસાદે પંતનગરમાં ગુરુવારથી ડહોળું પાણી આવવા લાગ્યું હતું. આને લીધે ઘરમાં પીવાના પાણીની તંગી વર્તાઈ હતી એટલું જ નહીં, પીવાનું પાણી જ ડહોળું આવવાથી ઘરમાં રસોઈ બનાવવામાં મહિલાઓને તકલીફ પડી હતી. પહેલાં તો એમ થયું કે અમારા બિલ્ડિંગની ટાંકીમાં જ કોઈક પ્રૉબ્લેમ આવવાને લીધે ડહોળું પાણી આવતું હશે. પછી તપાસ કરતાં ખબર પડી કે પંતનગરનાં મોટા ભાગનાં મકાનોમાં ડહોળું પાણી આવી રહ્યું છે.’
પંતનગરની ડહોળા પાણીની સમસ્યા માટેની માહિતી આપતાં ફ્ વૉર્ડના વૉટર ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયર રામચંદ્ર પ્રભુએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પંતનગરને પહેલાં ઘાટકોપર -વેસ્ટની ઝુનઝુનવાલા કૉલેજ તરફની પાઇપલાઇનમાંથી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. એ હવે બદલીને વિદ્યાવિહાર-ઈસ્ટની સોમૈયા કૉલેજ તરફની પાઇપલાઇનમાંથી આપવાનું શરૂ કર્યું છે જેને લીધે પંતનગરના રહેવાસીઓની પાણીની સુવિધામાં સુધારો થશે. નવી પાઇપલાઇનમાંથી પાણી આપવાનું શરૂ થતાં ૩૬ કલાક સુધી લોકોને ગંદું નહીં, પણ ડહોળું પાણી મળ્યું હતું. હવે તેમને સારું પાણી મળવાનું શરૂ થઈ ગયું છે.’
અગાઉથી જાહેરાત તો કરો
પંતનગરના રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈએ આવા સમયે જે-જે વિસ્તારોમાં આ સમસ્યા સર્જાવાની શક્યતાઓ હોય ત્યાં પાણીના પુરવઠાની પાઇપલાઇનમાં ફેરબદલી કરવાને કારણે બે-ત્રણ દિવસ પાણી ગંદું આવશે એવી પહેલેથી જાહેરાત કરવી જોઈએ જેથી વાતાવરણ પૅનિક ન થઈ જાય.’