ખેડૂતો માટે ૨૦૦૦ કરોડના પૅકેજની સરકારની જાહેરાત
આ વાતની જાહેરાત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે નાગપુરમાં ચાલી રહેલા શિયાળુસત્રમાં વિધાનભવનમાં કરી હતી, પરંતુ વિરોધપક્ષને એનાથી સંતોષ નહોતો થયો. આને કારણે તેઓ હાઉસનું કામકાજ ચલાવવા દેવા નહોતા માગતા. સરકારે બે હજાર કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ પણ વિરોધપક્ષના સભ્યો ખુશ નહોતા અને આજે તેમણે હાઉસ ન ચલાવવા દેવાનું નક્કી કર્યું છે. કપાસની મિનિમમ સપોર્ટ પ્રાઇસ વધારવાની માગણીને લઈને શિવસેનાએ તો વિદર્ભ બંધ કરવાની જાહેરાત પણ કરી છે.
પોલીસર્ફોસની હાલત કફોડી : ડ્યુટી શેડ્યુલ અને સુવિધાને લઈને મુશ્કેલીમાં મુકાતા હોવાની ફરિયાદ
નાગપુરમાં ચાલી રહેલા શિયાળુસત્રમાં ૪૪ વર્ષના પોલીસ-કૉન્સ્ટેબલ ડાંગલ માળી સ્પેશ્યલ ડ્યુટી પર હતા પણ મંગળવારે તેમનું હાર્ટઅટૅકથી મૃત્યુ થયું હતું. તેઓ મૂળ નંદુરબારના હતા અને ટ્રાફિક-બૂથ હૅન્ડલ કરતા હતા. આને કારણે પોલીસ-ફોર્સમાં શોકની લાગણી ઘેરી વળી હતી. જેમને અહીં સિક્યૉરિટી માટે ડ્યુટી પર રાખવામાં આવ્યા હતા તેઓ ડ્યુટીનાં શેડ્યુલ અને સુવિધાઓ બાબતે ફરિયાદ કરી રહ્યા હતા. તેમને કામચલાઉ ૨૨ જગ્યાએ રહેવાની સગવડ કરવામાં આવે છે એ અપૂરતી છે અને વૉશરૂમની બહાર લાંબી લાઇન લાગતી હોવાથી પોલીસ-અધિકારીઓ હેરાન થઈ જાય છે. મોટા ભાગના લોકોને ગરમ પાણી પણ નાહવા માટે નથી મળતું. તેમને સસ્પેન્ડ કરવામાં આવશે એવા ડરને લીધે તેમણે સતત ભાગવું પણ પડતું હોય છે. પોલીસ-ફોર્સને સમયસર જમવા પણ નથી મળતું.
જ્યારે વિધાનસભ્યો માટે કંઈક જુદી પરિસ્થિતિ છે. વિધાનસભ્યો નાગપુરમાં હૉસ્ટેલમાં રહેવાને બદલે હોટેલોમાં રહે છે. ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનીલ શિંદેએ સવાલ કર્યો હતો કે ‘એમએલએ હૉસ્ટેલ લોકોને ભાડા પર આપવામાં આવે છે. વિધાનસભ્યો માટે પહેલાંથી જ હોટેલો બુક કરી દેવામાં આવતી હોય છે. ૯૦ ટકા વિધાનસભ્યો એમએલએ હૉસ્ટેલમાં રહેવાને બદલે ફાઇવસ્ટાર હોેટેલોમાં રહે છે. એમએલએ હૉસ્ટેલના મેઇન્ટેનન્સ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જેમાં વિઝિટરો અને વિધાનસભ્યોના પર્સનલ અસિસ્ટન્ટ્સ જ રહે છે.’