૨.૫૦ લાખ લોકો ઘરવિહોણા બન્યા બૈરુત બ્લાસ્ટ
વિનાશનો નજારો : બૈરુતના બંદરમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે માની ન શકાય તેવો વિનાશ વેરાયો હતો. તસવીર : એ.એફ.પી.
લેબનોનના પાટનગર બૈરુતમાં બે મહાવિસ્ફોટ થયા હતા. એ વિસ્ફોટનું સ્પષ્ટ કારણ જાહેર થયું નહોતું. એમાં અસંખ્ય ઇમારતોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. જોકે લેબનોન પીએમએ એમોનિયમ નાઇટ્રેટમાં વિસ્ફોટ થયો હોવાનું જણાવ્યું છે.
લેબનોનના રાષ્ટ્રપતિ મિશેલ આઉને બુધવારે તાત્કાલિક કૅબિનેટની બેઠક બોલાવી હતી અને કહ્યું હતું કે બૈરુતમાં મોટાપાયે થયેલા વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા ૧૦૦થી વધુ લોકોનાં મોત અને ૪૦૦૦ અન્ય ઘાયલ થયા પછી બે અઠવાડિયાંની કટોકટીની સ્થિતિ જાહેર કરવી જોઈએ. મંગળવારે થયેલા વિસ્ફોટથી શહેરભરમાં ઝટકાઓ અનુભવાયા છે. પાટનગરની બહારના વિસ્તારો સુધી વ્યાપક નુકસાન થયું હતું. આ ઘટનાના વિશ્વભરમાં પડઘા પડ્યા છે. પરમાણુ બૉમ્બ ફાટ્યો હોય તેવા ભયાનક વિસ્ફોટથી એક કિલોમીટરનો વિસ્તાર સાફ થઈ ગયો છે. લોકો રીતસરના રડવા લાગ્યા હતા. રોડ પર દોડતી ગાડીઓ હવામાં ફંગોળાઈ ગઈ હતી. બૈરુતમાં આ વિસ્ફોટને પગલે ૨.૫૦ લાખ લોકો ઘરવિહોણા બની ગયા છે.