Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૧૯૮પનું વર્ષ મારે માટે અનેક સફળતા લઈને આવ્યું

૧૯૮પનું વર્ષ મારે માટે અનેક સફળતા લઈને આવ્યું

04 November, 2020 01:14 PM IST | Mumbai
Pankaj Udhas

૧૯૮પનું વર્ષ મારે માટે અનેક સફળતા લઈને આવ્યું

પુરાની યાદેંઃ ‘ખઝાના’ સમયની એક મુલાકાત દરમ્યાન ડાબેથી અનુપ જલોટા, ચંદન દાસ, તલત અઝીઝ, નીના મહેતા, પીનાઝ મસાણી, રાજેન્દ્ર મહેતા અને હું.

પુરાની યાદેંઃ ‘ખઝાના’ સમયની એક મુલાકાત દરમ્યાન ડાબેથી અનુપ જલોટા, ચંદન દાસ, તલત અઝીઝ, નીના મહેતા, પીનાઝ મસાણી, રાજેન્દ્ર મહેતા અને હું.



૧પ ઑગસ્ટ, ૧૯૮૧.
સ્વાતંત્રતા પર્વ, ‘ખઝાના’નો પ્રારંભ અને મારા પિતાશ્રીનો અંતિમ દિવસ.
આમ આ એક જ દિવસ ત્રણ રીતે મારા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયો. ગયા બુધવારે મેં તમને કહ્યું હતું એમ, પહેલો ફેસ્ટિવલ ‘ખઝાના’ અનેક રીતે યાદગાર રહ્યો, જેઓ એ માણી નહોતા શક્યા એ લોકો તાજ હોટેલ જઈને કહેતા કે ફરીથી આ ઇવેન્ટ કરો. તાજ હોટેલથી તેમને ખબર પડે કે આ ઇવેન્ટ મ્યુઝિક ઇન્ડિયાની છે એટલે મ્યુઝિક ઇન્ડિયા કંપનીને રિક્વેસ્ટ કરતાં પોસ્ટકાર્ડ અને ઇનલૅન્ડ લેટર લખતા કે ‘પ્લીઝ, આ શો બીજી વાર કરો, અમારે જોવો છે.’ જો ઑગસ્ટ પછી ડિસેમ્બરમાં ફરીથી ‘ખઝાના’ કરવામાં આવ્યો હોત તો પણ એ સોએ સો ટકા હાઉસફુલ જ થવાનો હતો, પણ એમ છતાં પ્રૅક્ટિકલી શક્ય નહોતું. ઓરિજિનલી મ્યુઝિક ઇન્ડિયા પહેલાં ‘ખઝાના’ મે-જૂનમાં વિચારતું હતું, પણ એ શક્ય બન્યું નહોતું, મોટા ભાગના આર્ટિસ્ટ અતિશય વ્યસ્ત હતા એટલે છેક ઑગસ્ટ પર પ્લાનિંગ ગયું અને ૧પ ઑગસ્ટને કેન્દ્રમાં રાખીને બધી તૈયારી કરવામાં આવી. જોકે એ સમયે પણ ઘણા કલાકારોએ પોતાના શો પોસ્ટપોન કે કૅન્સલ કરવા પડ્યા, જે તેમણે રાજી-રાજી કર્યા. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ જ કે એ જ વર્ષમાં બીજી વખત ‘ખઝાના’નું આયોજન કરવાનું કામ અશક્ય હતું, અસંભવ હતું. હવે ‘ખઝાના’ ક્યારે થશે અને એ કેવી રીતે થશે એની અમને કોઈને ખબર નહોતી, પણ હા, એક નક્કી હતું કે મ્યુઝિક ઇન્ડિયાની ઇચ્છા હતી કે ગઝલના આ ફેસ્ટિવલ ‘ખઝાના’ને અકબંધ રાખવો અને દર વર્ષે એ કરવો.
૧૯૮૧નું વર્ષ પૂરું થયું અને નવું વર્ષ આવ્યું.
૧૯૮૨.
આ વર્ષની શરૂઆતમાં જ નક્કી કરી લેવામાં આવ્યું કે આ વર્ષે ‘ખઝાના’ થશે એટલે તમામ આર્ટિસ્ટોએ પણ એ મુજબનું પ્લાનિંગ રાખવાનું હતું. ૧૯૮૨માં જે ફેસ્ટિવલ થયો એ ફેસ્ટિવલ મુંબઈમાં જ થયો અને એનું આયોજન પણ મુંબઈમાં જ થયું. એ જ બધા લેજન્ડ અને એ જ જલસો. એ વર્ષે પણ ‘ખઝાના’ ફેસ્ટિવલમાં રાજેન્દ્ર મહેતા, અહમદ હુસેન-મોહમ્મદ હુસેન, અનુરાધા પૌડવાલ, તલત અઝીઝ, ભૂપિન્દર સિંહ અને મિતાલી, અનુપ જલોટા, ચંદનદાસ અને તેમના જેવા ૨૦થી ૨પ જેટલા એવા ગઝલગાયકો કાર્યક્રમમાં ભાગ લેવાના હતા જેમને સાંભળીને દિલ તરબતર થઈ જાય. એ વર્ષે ધાર્યો હતો એનાથી પણ વધારે સારો રિસ્પૉન્સ મળ્યો અને પછી તો આ ક્રમ એકધારો ચાલુ રહ્યો. લોકોની ડિમાન્ડ આવતી રહેતી કે ‘ખઝાના’ના દિવસો વધારો કે પછી ‘ખઝાના’ને વર્ષમાં એકથી વધારે વખત કરો, પણ એ પ્રૅક્ટિકલી શક્ય નહોતું એટલે કરવામાં નહોતું આવતું. બીજું એ કે બધા માનતા હતા કે અમૃતનું રસપાન થવું જોઈએ, અમૃતને પાણીની જેમ પીવાનું ન હોય. ગઝલ અમૃત છે અને એ રસપાનના સ્વરૂપમાં જ આનંદ આપે, આનંદ મળે. લોકોની માગ અને તીવ્ર ઇચ્છા પછી પણ ‘ખઝાના’ના દિવસો વધારવાની કે પછી ‘ખઝાના’ વર્ષમાં એકથી વધારે વાર નહીં કરવાનો જે દૃઢ નિર્ણય હતો એ મ્યુઝિક ઇન્ડિયા જ લઈ શકે એવું કહું તો ખોટું ન કહેવાય. કંપનીએ ધાર્યું હોત તો ‘ખઝાના’ના શો વધારીને કે પછી એનું સ્તર થોડું નીચું લાવીને પણ એ કમાણી કરી શકી હોત, પણ મ્યુઝિક ઇન્ડિયા એવું કરવામાં માનતી નહોતી અને એટલે જ આજે પણ ‘ખઝાના’નું સ્તર અકબંધ રહ્યું છે, આજે પણ ‘ખઝાના’ માણનારાઓ એને યાદ કરે છે.
વર્ષ આવ્યાં ૧૯૮૩ અને ૧૯૮૪.
દર વર્ષે ‘ખઝાના’નું આયોજન થતું ગયું અને પછી તો લોકોના મનમાં અને હૃદયમાં ‘ખઝાના’એ પોતાનું સ્થાન બનાવી લીધું. ‘ખઝાના’ની એક આદત પણ સૌકોઈને પડી ગઈ અને એક વખત આ ફેસ્ટિવલને માણનારાઓએ પોતાના વર્ષ દરમ્યાનના પ્લાનિંગમાં, શેડ્યુલમાં ‘ખઝાના’ને ગોઠવી દીધું. ૧૯૮૪ સુધી ‘ખઝાના’ મુંબઈમાં થયો, પણ એ પછી એટલે કે ૧૯૮પમાં એને બહાર લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું. મ્યુઝિક ઇન્ડિયાની ઇચ્છા હતી કે ગઝલ દેશના એકેએક ખૂણે પહોંચે અને દરેક ખૂણે રહેતા ગઝલપ્રેમીઓને ‘ખઝાના’નો લાભ મળે. મ્યુઝિક ઇન્ડિયા ગઝલગાયક અને ગઝલના પ્રચાર માટે ખૂબ ઍક્ટિવ હતી. એણે મુંબઈની બહાર જવાનું નક્કી કરતાં પહેલાં ખૂબ મોટો સર્વે કરાવ્યો હતો અને તમે માનશો નહીં, ‘ખઝાના’ના આયોજન માટે ખાસ લોકો અપૉઇન્ટ કર્યા હતા. મ્યુઝિક ઇન્ડિયાએ કરાવેલા સર્વે પછી એણે નક્કી કર્યું કે દિલ્હી, કલકતા, હૈદરાબાદ અને ચેન્નઈમાં આ ફેસ્ટિવલ ઊજવવો જોઈએ. ત્યાં ગઝલના કદરદાન મોટી સંખ્યામાં હતા તો સાથોસાથ મોટા ભાગના ગઝલગાયકોના ફૅન્સ પણ ત્યાં હતા, જેને લીધે બધા ગાયકોને તેમના ફૅન મળી રહે અને બધાને પ્રેમ મળે એવી એની નીતિ હતી.
આ ચાર વર્ષમાં તો હું પણ મારા નવા જોશ અને ઉત્સાહમાં આવી ગયો હતો. ૧૯૮૧થી ૧૯૮પ દરમ્યાનાં ચાર વર્ષમાં મારાં ઘણાં આલબમ આવી ગયાં હતાં તો મેં કૉન્સર્ટ પણ પુષ્કળ કરી લીધી હતી. મારું ‘મહેફિલ’ આલબમ ખૂબ પૉપ્યુલર થયું હતું, લોકોમાં મારી ચાહના પણ વધવા માંડી હતી. ફૅનનો એક વર્ગ ઊભો થતો હતો જેને મારી ગઝલ અને મારી ગાયકી બન્ને ગમતાં હતાં. ૧૯૮પની તો મેં વાત તમને અગાઉ વિગતવાર કહી છે. ૧૯૮પમાં મેં લંડનની ટૂર કરી અને એ ટૂર દરમ્યાન વિશ્વવિખ્યાત આલ્બર્ટ હૉલમાં પણ કૉન્સર્ટ કરી, જેમાં મેં પહેલી વાર ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’ સૌકોઈની સામે મૂક્યું. આ ગઝલે તો દેકારો બોલાવી દીધો હતો. આ ગઝલને મારા આલબમ ‘પંકજ ઉધાસ ઍટ આલ્બર્ટ હૉલ’માં સમાવવામાં આવી. કૅસેટ અને રેકૉર્ડ સાંભળનારા સૌકોઈએ પણ એને ખૂબ પસંદ કરી. ‘પંકજ ઉધાસ ઍટ આલ્બર્ટ હૉલ’નું પણ મુંબઈમાં ખાસ્સું પ્રમોશન કરવામાં આવ્યું અને એના લૉન્ચ માટે સુરૈયાજીને લઈ આવવામાં આવ્યાં હતાં. સુરૈયાજીને એક વાર મળવા માટે મને કેવી-કેવી તકલીફો પડી હતી અને તેઓ કેવી રીતે મને પહેલી વાર મળ્યાં એ વિશેની બધી વાત પણ મેં અગાઉ તમને કરી છે.


૧૯૮પના જ વર્ષમાં મારું બીજું પણ એક આલબમ આવ્યું હતું, નામ એનું ‘નાયાબ’. ‘નાયાબ’ આલબમે તો ધૂમ મચાવી દીધી હતી. ચાર્ટબસ્ટર બનેલું આ આલબમ ખરા અર્થમાં ટ્રેન્ડસેટર બન્યું હતું ‘પંકજ ઉધાસ ઍટ આલ્બર્ટ હૉલ’ અને ‘નાયાબ’ એ બન્ને આલબમે મારી પૉપ્યુલરિટીમાં ધરખમ વધારો કર્યો હતો એવું કહું તો જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય. લોકો મને નામથી ઓળખતા ખરા, પણ આ બન્ને આલબમે મને નાનાં-નાનાં શહેર અને ગામ સુધી પહોંચાડી દીધો. લોકો ફોટો જોઈને મારા નામની ડિમાન્ડ કરવા માગતા અને દૂરથી અવાજ સાંભળીને મને ઓળખવા માંડ્યા હતા. એવામાં એ જ વર્ષ દરમ્યાન ‘ખઝાના’ માટે અમે ઑલ ઓવર ઇન્ડિયા ટૂર કરી. આ ટૂરમાં ઘણા ગઝલગાયકો હતા, બધા સાથે મિત્રતા ખરી, પણ આ મિત્રતામાં શિરમોર સમાન જો કોઈ સાથે ભાઈબંધી થઈ હોય, યારી થઈ હોય તો એ તલત અઝીઝ અને અનુપ જલોટા હતા. અમારી વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા થઈ. ટૂર દરમ્યાન અમે એકબીજા સાથે ઘણો સમય પસાર કરવા લાગ્યા તો પાછા આવ્યા પછી પણ અમે એકબીજા સાથે ખૂબ વાતો કરતા. મહિનામાં એકાદ વાર મળવાનો કાર્યક્રમ પણ રાખીએ અને પ્રયાસ કરીએ કે એમાં કોઈ ફરક ન પડે. આ મિત્રતાનો લાભ અમને ત્રણેત્રણને થયો. એક જ ક્ષેત્રમાં હોવા છતાં અમારી વચ્ચે ક્યારેય કોઈ કૉમ્પિટિશન કે હરીફાઈની ભાવના નહોતી આવતી. ઘણી વાર તો ઑર્ગેનાઇઝર ભૂલ કરે, મારો શો કરવો હોય અને ભૂલથી તલત અઝીઝને ફોન લગાડી દે તો એ ઑર્ગેનાઇઝર પાસે નંબર ન હોય તો સામે ચાલીને નંબર આપે અને પછી મને પણ જાણ કરે. આવું અમારા ત્રણેય વચ્ચે બનતું. સંબંધોમાં હરીફાઈને ઉમેરીને અમે મિત્રતાની ગરિમા તોડતા નહીં, જે આજ સુધી અકબંધ રહી છે અને આજે પણ અમે હરીફાઈને અમારાથી દૂર રાખી છે.
વર્ષ આવ્યું ૧૯૮૬ અને એ વર્ષે એક સમાચાર એવા આવ્યા જેણે અમને સૌને બહુ મોટો શોક આપ્યો. એ શોક વિશે અને ‘ખઝાના’ની આગળની વાતો વિશે ચર્ચા કરીશું હવે પછી, પણ એ ચર્ચા કરવાની સાથોસાથ ગઝલની દુનિયામાં થનારા એક અદ્ભુત પ્રયોગની વાત પણ આપણે કરીશું આવતા અઠવાડિયે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2020 01:14 PM IST | Mumbai | Pankaj Udhas

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK