મિસિંગ એએન-32 વિમાનનો એકેય સભ્ય જીવતો બચ્યો નથી : બચાવ દળ
એએન-32 વિમાન
અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત કાર્ગો વિમાન એએન-૩૨માં સવાર તમામ ૧૩ લોકોનાં મોત થયાં છે. વિમાનનો કાટમાળ શોધવા પહોંચેલા બચાવ દળે એની પુષ્ટિ કરી છે. આ દુઃખદ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને અની માહિતી આપવામાં આવી છે. આની પહેલાં ૧૫ સભ્યનું બચાવ દળ આજે સવારે વિમાનના કાટમાળ સુધી પહોંચ્યું હતું. કાટમાળની તપાસમાં આ બચાવ દળનો એકપણ સભ્ય જીવતો મળ્યો નથી.
આની પહેલાં વિમાનના કાટમાળ સુધી પહોંચવા માટે બુધવારે ૧૫ સભ્યની ખાસ ટીમે હેલિડ્રૉપ કર્યું હતું. આ ટીમમાં એરફોર્સ, આર્મીના જવાન અને પર્વતારોહી સામેલ હતા. બચાવ દળને પહેલાં એરલિફ્ટ કરીને કાટમાળની નજીક લઈ જવાયું અને પછી તેમને હેલિડ્રૉપ કરાયા. આની પહેલાં મંગળવારે ભારતીય વાયુસેનાના ગુમ વિમાન એએન-૩૨નો કાટમાળ અરુણાચલના સિયાંગ જિલ્લામાં દેખાયો હતો. અકસ્માતવાળો વિસ્તાર ખૂબ જ ઊંચાઈ અને અને ગાઢ જંગલની વચ્ચે છે. એવામાં વિમાનના કાટમાળ સુધી પહોંચવું સૌથી પડકારરૂપ કામ હતું.
ADVERTISEMENT
બચાવ ટીમને ત્યાં સુધી પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ૧૩ લોકોમાંથી ૬ અધિકારી અને ૭ એરમેન છે. આપને જણાવી દઈએ કે ઈસ્ટ અરુણાચલ પ્રદેશના પહાડો ખૂબ જ રહસ્યમય મનાય છે અને અહીં પહેલાં પણ કેટલીય વખત આવાં વિમાનોનો કાટમાળ મળ્યો છે જે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ગુમ થઈ ગયાં હતાં. જે જગ્યા પર વિમાનનો કાટમાળ મળ્યો છે એ અંદાજે ૧૨,૦૦૦ ફીટની ઊંચાઈ પર આવેલી છે.
શહીદોમાં વિન્ગ કમાન્ડર જી. એમ. ચાર્લ્સ, સ્ક્વૉડ્રન લીડર એચ. વિનોદ, ફ્લાઇટ લેફ્ટનન્ટ આર. તાપા, ફ્લાઇટ લેફ્ટનન્ટ એ. તન્વર, ફ્લાઇટ લેફ્ટનન્ટ એસ. મોહંતી અને ફ્લાઇટ લેફ્ટનન્ટ એમ. કે. ગર્ગ સામેલ છે. તેમના સિવાય વૉરન્ટ ઑફિસર કે. કે. મિશ્રા, સાર્જન્ટ અનુપ કુમાર, કૉર્પોરેલ શેરિન, લીડ અૅરક્રાફ્ટ મૅન એસ. કે. સિંહ, પંકજ અને અસૈન્યકર્મી પુતાલી, રાજેશ કુમાર પણ આ દુર્ઘટનામાં શહીદ થયા છે.
આ પણ વાંચો : ભારતમાં વાયુ પ્રદુષણના કારણે લોકોની સરેરાશ ઉમર 2.6 વર્ષ ઘટી
અલગ-અલગ રિસર્ચના મતે આ વિસ્તારના આકાશમાં ખૂબ જ વધુ ટર્બ્યુલન્સ અને ૧૦૦ માઇલ/કલાકની ઝડપથી ચાલનાર હવા અહીંના પહાડોના સંપર્કમાં આવવા પર એવી સ્થિતિ બનાવે છે કે અહીં ઉડાન ભરવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. અહીંની ખીણો અને ગાઢ જંગલોમાં ઘેરાયેલા કોઈ પણ વિમાનનો કાટમાળ શોધવો એવું મિશન મનાય છે જેને પૂરું થવામાં કેટલાંય વર્ષો લાગી જાય છે.