જળગાવમાં ટ્રક પલટી થતાં ૧૫નાં મૃત્યુ, બે ગંભીર
રાજ્યના જળગાવ જિલ્લામાં ગઈ કાલે વહેલી સવારે મજૂરોને લઈ જતી ટ્રક પલટી ખાઈને રસ્તાની બાજુના ખાડામાં પડી જતાં ૧૫ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે કે ટ્રક-ડ્રાઇવર સહિત પાંચ જણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવી પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે ‘ધુળેથી જળગાવના યવલ તાલુકા તરફ જઈ રહેલી પપૈયા ભરેલી ટ્રકનો અકસ્માત રાતના એક વાગ્યાના સુમારે કિનગાવ ગામમાં મંદિર નજીક થયો હતો. ૧૫ કામદારોમાં ત્રણ અને પાંચ વર્ષનાં બે બાળક અને ૧૫ વર્ષની એક છોકરી પણ હતી.’
ઘટના બાદ પોલીસ તેમ જ સ્થાનિક લોકોએ જેસીબી મશીનની મદદથી ટ્રકને સીધી કરી હતી. ઈજાગ્રસ્તોને તત્કાળ જળગાવ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી બે જણની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ટ્રકમાં ટેક્નિકલ ખરાબી સર્જાતાં અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.