જપાની શિપમાં ફસાયેલા ૧૧૯ અને ચીનના વુહાનમાંથી ૭૬ ભારતીયોને દિલ્હી લવાયા
જપાનના યોકોહામા તટ પર રોકી રાખવામાં આવેલા ડાયમન્ડ પ્રિન્સેસ જહાજ પર ફસાયેલા ૧૧૯ ભારતીયો અને પાંચ વિદેશી નાગરિકોને ગઈ કાલે દિલ્હી લાવવામાં આવ્યા છે. આ સાથે જ ચીનના વુહાન શહેર ખાતે ગયેલું વાયુસેનાનું વિમાન પણ ભારત પરત ફર્યું છે જેમાં ૭૬ ભારતીય અને ૩૬ વિદેશી નાગરિકોને ભારત લાવવામાં આવ્યા છે. બન્ને વિમાનો દ્વારા ભારત લાવવામાં આવેલા ભારતીયોના થર્મલ સ્ક્રીનિંગ બાદ આઇટીબીપીની છાવણીસ્થિત ઑબ્ઝર્વેશન સેન્ટરમાં રાખાવમાં આવ્યા છે.
જપાનથી આવેલા પાંચ વિદેશીઓમાં શ્રીલંકા, નેપાલ, દક્ષિણ આફ્રિકા અને પેરુના નાગરિકોનો સમાવેશ થાય છે. ભારત સરકારે લોકોને ત્યાંથી નીકળવામાં મદદ કરવા માટે જપાન સરાકરનો આભાર વ્યક્ત કર્યો છે. ૩ ફેબ્રુઆરીના દિવસથી જ ડાયમન્ડ પ્રિન્સેસ શિપને જાપાનના યોકોહામા પોર્ટ પર રોકી રાખવામાં આવ્યું હતું જેમાં ૧૩૮ ભારતીયો ફસાયેલા હતા જેમાં ૧૬ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે.