જેતપુર અને ગોંડલ હાઇવે પર ફેંકાયેલી હતી ધો.૧૦-૧૨ની ઉત્તરવહીઓ
રાજકોટથી વીરપુર હાઇવે તેમ જ ગોંડલ હાઇવે પર બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલી ઉત્તરવહીઓ રસ્તા પર રઝળતી સ્થિતિમાં આવી આવતાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર વર્ષની મહેનત બદલ આ પરિણામ મળશે એવો વિદ્યાર્થીઓને સ્વપ્ને પણ ખ્યાલ નહીં આવ્યો હોય. હાઇવે પર બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ મળતાં અનેક તર્કવિતર્ક ઊભા થયા છે. બોર્ડ દ્વારા ઉત્તરવહીઓ એક સ્થળેથી બીજા સ્થળે સલામત રીતે લઈ જવામાં આવતી હોય છે તો પછી વીરપુર અને ગોંડલ હાઇવે પર મળી આવેલી ઉત્તરવહીઓ ઇરાદાપૂર્વક ફેંકવામાં આવી છે કે પછી ઉત્તરવહીઓ લઈ જતી વખતે બેદરકારી દાખવવામાં આવી છે એ તપાસનો વિષય બન્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક તપાસ માટે ઉત્તરવહીઓ મળી આવી એ સ્થળે જવા રવાના થઈ ગયા છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહે આ મામલે જણાવ્યું છે કે ઘટના વિશે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
રાજકોટથી વીરપુર તરફ જતા હાઇવે પાસે ઓવરબ્રિજ નજીક બોર્ડના વિદ્યાર્થીઓએ લખેલી ગુજરાતીની ઢગલાબંધ ઉત્તરવહીઓ મળી આવી હતી. આ જ પ્રકારે ગોંડલ હાઇવે પર શીતળા માતાજીના મંદિર પાસેથી ઉત્તરવહીના ત્રણ થેલા મળી આવ્યા હતા. હાઈબોન્ડ સિમેન્ટ કંપનીના ડ્રાઇવરને આ વિશે જાણ થતાં તેણે વિદ્યાર્થીઓનું ભાવિ ખરાબ ન થાય એ માટે જાણ કરી હતી.