યોગને કારણે મેન્ટલી સ્ટ્રૉન્ગ બનવાની દાસ્તાન
યોગને લીધા આ વ્યક્તિઓની જિંદગી બદલાઇ છે
ડિપ્રેશનની એવી અવસ્થા જ્યાં ત્રણ મહિનાના પોતાના રડતા બાળકને દૂધ પીવડાવવાનું મન ન થાય, ખાવાનું મન ન થાય, કોઈ જોડે વાત કરવાનું મન ન થાય. એમાંથી યોગ, પ્રાણાયામ વગેરે ક્રિયાઓએ બોરીવલીમાં રહેતાં હેતાવલી પટેલને કેવી રીતે બહાર કાઢ્યાં એ વિશે વાત કરીએ બોરીવલીમાં રહેતાં હેતાવલી પટેલના અંગત જીવનમાં ઘણી આંધીઓ આવી જેણે તેમને મનથી હલબલાવી નાખ્યાં હતાં. ઇમોશનલી અને મેન્ટલી એવી હાલત થઈ ગઈ હતી કે શરીર પણ ધીમે-ધીમે નબળાઈ તરફ ધકેલાઈ રહ્યું હતું. હેતાવલીબહેન કહે છે, ‘કેટલાંક પર્સનલ કારણોને લીધે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી. સાતમો મહિનો ચાલતો હતો એ સમયે ડિપ્રેશનની અવસ્થા હતી, પણ કોઈને એ વિશે કહ્યું નહોતું. એ સમયે જીવવાની ઇચ્છા નહોતી. બાળકનો જન્મ થયો ત્યારે પણ મારી માનસિક હાલતમાં કોઈ ફરક પડ્યો નહોતો. જનરલી લોકોનું પ્રેગ્નન્સી દરમ્યાન વજન વધતું હોય જ્યારે મારું લગભગ દસેક કિલો વજન ઘટી ગયું હતું. હું કોઈ સાથે વાત ન કરું, ખાવાનું આપો તો ઉપરથી ન માગું, જે હોય એ ચૂપચાપ ખાઈ લઉં. બાજુમાં મારું બાળક રડતું હોય તો પણ તેને ઊંચકીને શાંત પાડવાની ઇચ્છા મને નહોતી થતી. મારી મમ્મી, બહેન મને આ અવસ્થામાં જોઈને રડતાં. મારો ભાઈ મારી સાથે મનની મૂંઝવણો દૂર કરવાના પ્રયાસો કરતો પણ કોઈ ઇચ્છા જ નહોતી થતી. વર્ષોથી મારો ભાઈ યોગ કરે છે. નાનપણથી જોતી આવી છું, પણ મને એ બોરિંગ લાગતું. જોકે આ સમયમાં તેના કહેવાથી ધીમે-ધીમે મેં યોગ શરૂ કર્યા. શરૂઆતમાં તો તે જ મને સમજાવીને બેસાડતો અને થોડા પ્રાણાયામ અને આસનો કરાવડાવતો. ઓમકાર ચૅન્ટિંગ અને મેડિટેશનથી પણ મારામાં હકારાત્મકતા આવવી શરૂ થઈ. અંગત જીવનના કેટલાક આકરા નિર્ણયો લઈ લીધા. આજે હવે તો અંબિકા યોગ કુટિરમાં જઈને સેવા આપું છું. યોગે મારામાં અકલ્પનીય બદલાવ લાવ્યો છે. કદાચ યોગનો મારા જીવનમાં પ્રવેશ ન થયો હોત તો હું જીવતી ન હોત.’
લૉકડાઉનના અઢી મહિનામાં શીર્ષાસનમાં મહારથ હાંસલ કરી લીધી છે આમણે
ADVERTISEMENT
વરલીમાં રહેતા મનીષ શાહનું સાતેક કિલો વજન ઘટ્યું છે, પેટ ઓછું થયું છે અને સ્ફૂર્તિ આવી ગઈ છે એ અલગ
દસેક વર્ષ પહેલાં યોગ પ્રૅક્ટિસ કરતા મનીષ શાહે પછી એની તાલીમ છોડી દીધી હતી. જોકે લૉકડાઉનમાં એ યાત્રા ફરી શરૂ થઈ. મનીષભાઈ કહે છે, ‘અત્યારે લૉકડાઉનમાં કંઈ કરવા માટે હતું નહીં અને વજન પણ વધી ગયું હતું. પેટ બહાર આવી ગયું હતું. થાક લાગતો હતો એટલે યોગ શરૂ કર્યા. લગભગ અઢી મહિનામાં ઘણો ફરક પડ્યો છે. અઘરાં આસનો શીખ્યો હોવાને કારણે પણ ખૂબ મજા આવે છે. હવે કદાચ હું જીવનમાં ક્યારેય યોગ કરવાનું નહીં છોડું. હું પાદઉત્તાનાસન, ચતુરંગાસન, ભુજંગાસન જેવાં આસનો કરી રહ્યો છું. રોજના દસ સૂર્યનમસ્કાર કરું છું. આજે મારી સ્ફૂર્તિમાં અકલ્પનીય વધારો થયો છે. પહેલાં માત્ર ચાર દાદર ચડતો તો મને હાંફ ચડી જતી અને હવે દસ માળ થાક્યા વિના ચડી શકું છું. નિયમિત આસનો સાથે પ્રાણાયામ પણ કરું છું અને શીર્ષાસન પણ કરું છું.’