સુશાંતની કુંડળી કહે છે કે તેણે આત્મહત્યા નથી કરી, શું કહે છે જ્યોતિષ?
સુશાંત સિંહ રાજપૂત
દેશના તમામ નાગરિકોની નજર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ ઉપર છે. એવામાં તેમની કુંડળીના આધારે અમૂક વાત જ્યોતિષી જિતેન્દ્ર ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કરી છે.
સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ વહેલી સવારે 2:15 કલાકે પટનામાં થયો હતો. એ સમય મુજબની તેની કુંડળી નીચે પ્રમાણે બને છે.
ADVERTISEMENT
સુશાંત સિંહે 14 જૂન 2020ના રોજ આપઘાત કર્યો હતો. એ પછી તેનાં પિતાએ કંઈ મેલી રકમ રમાઈ હોવાની અને પોલીસ બરાબર તપાસ કરી રહી ન હોવાનો આક્ષેપ કરી CBI તપાસની માગણી કરી હતી. સુપ્રિમ કોર્ટે CBIને તપાસ સોંપી છે ત્યારે સૌના મનમાં એવો સવાલ છે કે શું સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરવામાં આવી હતી?
સુશાંતની કુંડળી
જે પણ વ્યક્તિ આપઘાત કરે છે તેમની કુંડળીમાં ત્રીજા, આઠમા અને અગિયારમાં સ્થાનના માલિકો વચ્ચે યુતિ કે દૃષ્ટિ દ્વારા અવશ્ય સંબંધ થયો હોય છે. આવો કોઈ સંબંધ સુશાંતની કુંડળીમાં થતો નથી. એટલે કિસ્સો આત્મહત્યાનો હોય એમ આ કુંડળી (જાહેર કરાયેલો સમય સાચો છે તે માનીને) દર્શાવતી નથી.
પ્રથમ સ્થાને કે જે વ્યક્તિત્વ, દેહ, આરોગ્યનું સ્થાન છે તેમાં શનિ છે, તેને શત્રુ ગ્રહ ચંદ્ર જોઈ રહ્યો છે તે અને બુધ પર રાહુની દૃષ્ટિ એ ડિપ્રેશન દર્શાવે છે. પહેલા અને સાતમાં સ્થાનમાં થયેલી ચંદ્ર-શનિની યુતિએ સુશાંતને અતિ લાગણીશીલ સ્વભાવ આપ્યો હતો. ગુરુ-શુક્ર યુતિ અને તેના પર મંગળની દૃષ્ટિએ એકથી અધિક વિજાતીય સંબંધો આપ્યા હતા. વૃશ્ચિક લગ્નમાં શનિ વ્યક્તિને સતત ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર કરે છે.
ગોચર કુંડળી 21-08-2020
સુશાંતે આપઘાત તો નથી કર્યો એમ એની કુંડળી પરથી જણાય છે ત્યારે તેનું મૃત્યુ કઈ રીતે થયું? એક થિયરી એવી ચર્ચાય છે કે તેના પર મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જ્યોતિષશાસ્ત્રમાં તેને અભિચાર કહે છે. અહીં મંગળ કેતુ જોડે છે અને બાધકેશ ચંદ્ર મંગળથી દૂર છે. વળી મૃત્યુ સ્થાનમાં કેતુ અને આઠમા સ્થાન પર કેતુની દૃષ્ટિ દર્શાવે છે કે તેના પર અભિચાર (BLACK MAGIC) પણ થયેલા છે.
ગ્રહોની અંશાત્મક સ્થિતિ પ્રમાણે જે કુંડળી બનાવાઈ છે એ સુશાંતની કસ્પ કુંડળીમાં બારમા એટલે કે મૃત્યુના ભાવમાં બે પાપગ્રહો અને આઠમા સ્થાન પર સૂર્ય-કેતુ એમ બે પાપ ગ્રહોની દૃષ્ટિ એટલું તો ચોક્કસ કહે છે કે તેના પર બળપ્રયોગ થયો હશે.
બુધને રાહુ જુએ છે અને બુધ જે રાશિમાં છે એનો માલિક ગુરુ નીચ રાશિમાં છે જે દર્શાવે છે કે તેની નર્વસ સિસ્ટમને મૃત્યુ પૂર્વે આઘાત લાગ્યો હતો.
રિયાની કુંડળી
રિયાનો પણ હમણા અશુભ સમય ચાલી રહ્યો છે
આ પ્રકરણમાં અન્ય પક્ષકારનું પાત્ર અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)છે એનો જન્મ સમય ઉપલબ્ધ નથી. એના પરથી જોઈએ તો 1 જુલાઈ 1992ના રોજ જન્મેલી રિયા ચક્રવર્તીની કુંડળીમાં પણ શનિ-ચક્રનો વિષયોગ થાય છે.
અત્યારે રિયાના જન્મના ચંદ્ર પર શનિની દૃષ્ટિ છે અને જન્મના રાહુ પરથી હાલ ગુરુ જઈ રહ્યો છે જે તેના અશુભ સમય ચાલી રહ્યો હોવાનું દર્શાવે છે. વળી જન્મના સૂર્ય અને શુક્ર પરથી ગોચરનો રાહુ પસાર થઈ રહ્યો છે તે તેના આરોગ્ય અને જાનને ખતરો દર્શાવે છે.