નવરાત્રિમાં કઈ રીતે કરશો ઘટ સ્થાપના, આ છે શુભ મુહૂર્ત
માં દુર્ગા
તા. ૨૯થી નવરાત્રિના તહેવારનો પ્રારંભ થશે જે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો છે. ગુજરાત રાજ્યમાં નવરાત્રિનું સવિશેષ મહત્ત્વ છે. આ તહેવાર દેશના ખૂણે-ખૂણે મનાવવામાં આવે છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આ પર્વમાં ખાસ દૂર્ગામાતાની પૂજા- અર્ચના કરવામાં આવે છે. કુળદેવી, ચામુંડામાતાજી કે ગાયત્રીમાતાજીનું અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. આવા દિવસોમાં ભક્તો ઉપવાસ કરી માતાની આરાધના કરતા હોય છે.
નવરાત્રિના નવ દિવસમાં માતાના અલગ-અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિમાં પ્રથમ દિવસે ઘટ સ્થાપના એટલે કુંભ પધરાવવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે શુભ મુહૂર્તમાં કળશ સ્થાપન કરીને નવગ્રહો, પંચદેવતા, ગ્રામ અને નગરદેવતાની પૂજા પછી વિધિ-વિધાન દ્વારા માતાની પૂજા કરવી જોઈએ. એવી માન્યતા છે કે મંગલ કળશની સ્થાપનાથી નવરાત્રિમાં દેવીપૂજન સફળ અને ફળદાયી થાય છે.
ADVERTISEMENT
નવરાત્રી સ્થાપનામાં બાજોટ ઉપર લાલ કલરનું કપડું પાથરી તેની ઉપર માતાજીની મૂર્તિ તથા કળશ મૂકવામાં આવે છે. માટીના માતાજીના ગરબા નીચે મગ પાથરવામાં આવે છે. આ સ્થાપન પૂર્વ દિશા બાજુ રાખવામાં આવે છે. પિત્તળના કળશમાં શુદ્ધ જળ ભરી આસોપાલવના પાન મૂકી તેની વચ્ચોવચ સવા રૂપિયો પધરાવવામાં આવે છે અને તેની ઉપર શ્રીફળ મૂકવામાં આવે છે. માતાજીની તસવીરની જમણી બાજુ જ્વારા ઉગાડેલ મૂકવામાં આવે છે, ત્યાર બાદ માતાજીને દીપ પ્રગટાવી, અગરબત્તી કરી આરતી ઉતારી પ્રસાદ વેચી મનોમન પ્રાર્થના કરવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન સવાલાખ મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવે છે. જ્યારે ઘણા ભક્તો ગાયત્રી ચાલીસા, ગાયત્રી સતક, ચંડીપાઠ, અથર્વશીર્ષના પાઠ પણ કરતાં જોવા મળે છે.
નવરાત્રી સ્થાપના શુભ મુહૂર્ત
ચલ ચોઘડિયું - સવારે - ૭.૫૯ થી ૯.૩૧
લાભ ચોઘડિયું - સવારે - ૯.૩૧ થી ૧૧.૦૧
અમૃત ચોઘડિયું - સવારે - ૧૧.૦૧ થી ૧૨.૩૨
અભિજિત મુહૂર્ત - બપોરે - ૧૨.૩૫ થી ૧૨.૪૪
વિજય મુહૂર્ત - બપોરે - ૧૨.૩૯