ડાયાબિટીઝની સમસ્યા છે પત્નીનો સાથ છે, પણ મને પોતાને ઉત્તેજના ઓછી છે
પ્રતીકાત્મક તસવીર
સેક્સ-સંવાદ
સવાલ : મારી ઉંમર ૬૦ વર્ષની છે. ડાયાબિટીઝની સમસ્યા છે અને હંમેશાં ફાસ્ટિંગ શુગર ૨૨૦ અને પોસ્ટ-લંચ શુગર ૩૨૦ આવે છે. પત્નીનો સપોર્ટ છે, પણ મને પોતાને જ ઉત્તેજનામાં ઓછપ છે. મારા દોસ્તો દેશી વાયેગ્રા લે છે અને તેમને વાંધો નથી આવતો. જોકે તેમને ડાયાબિટીઝની તકલીફ નથી. શું મારાથી એ ગોળી લેવાય? મારી પત્ની તરફથી પૂરો સહકાર મળે છે એ છતાં હું તેને સમાગમથી સંતુષ્ટ નથી કરી શકતો. બીજું, શિયાળામાં લેવાતાં વસાણાંથી શરીર સુદૃઢ થાય છે, પણ મારે શું લેવું જોઈએ એ પણ કહેશો?
ADVERTISEMENT
જવાબ : તમારે દેશી વાયેગ્રા લેવી હોય તો સૌથી પહેલાં તો તમને કેટલી ઉત્તેજના આવે છે એ જોવું પડે. વાયેગ્રાથી થોડીક આવેલી ઉત્તેજનામાં વધારો થાય છે, પણ જો નહીંવત્ ઉત્તેજના હોય તો એનાથી એ દવા પણ બેઅસર થઈ જાય છે. તમારે સૌથી પહેલાં તો શુગર કન્ટ્રોલમાં રાખવાની જરૂર છે. ઇન્દ્રિયના ઉત્થાનમાં તકલીફો વધવાનું એક કારણ બેકાબૂ ડાયાબિટીઝ પણ છે.
દવાથી ઇન્સ્ટન્ટ અસર થઈ જાય એવી અપેક્ષા રાખવાને બદલે ડાયટિંગ અને એક્સરસાઇઝ નિયમિત કરો. ઓછામાં ઓછું પોણો કલાક ચાલો. ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખશો તો બીજી સમસ્યાઓ ઊભી નહીં થાય અને ઇન્દ્રિયના ઉત્થાનમાં પણ વધુ સમસ્યા નહીં થાય.
સામાન્ય રીતે સમાગમના એક કલાક પહેલાં દેશી વાયેગ્રાની ગોળી ભૂખ્યા પેટે લેવી જોઈએ. જોકે યાદ રહે, આ ગોળી તમે બ્લડ-પ્રેશર માટે નાઇટ્રેટયુક્ત ગોળી ન લેતા હો તો જ લેવાય અને એ પણ ૨૪ કલાકમાં એકથી વધુ નહીં. આ ગોળી હંમેશાં તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ હેઠળ લેવી જોઈએ. તમારી ઓવરઑલ હેલ્થ ચેક કર્યા પછી તેઓ નક્કી કરી શકશે કે તમારા માટે એ ગોળી ઠીક રહેશે કે નહીં.
આ પણ વાંચો : બ્રેસ્ટ્સમાં હેવીનેસ લાગે છે શું કૅન્સર માટેનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ?
શિયાળામાં ઘી અને ગરમ પડે એવાં દ્રવ્યો નાખીને તૈયાર કરેલાં વસાણાં ખાવાથી સેહત બને છે એવું નથી. તમારી પાચનશક્તિ સુધરે એવી ચીજો લેવાથી પાચન અને શુગર બન્નેમાં ફાયદો થશે. જો સવારે નરણા કોઠે એક ચમચી આમળાંનો પાઉડર અથવા જૂસ લો અને જમતી વખતે એક ચમચી લીલી હળદર અને આંબાહળદરમાં લીંબુ નિચોવીને ચાવી-ચાવીને ખાશો તોય સ્વાસ્થ્યને ફાયદો કરશે.