જે મેળવવા માગીએ તે મનમાં વારંવાર ઘૂંટવાથી-ઇચ્છાશક્તિથી કામ પાર પડી જાય?
પ્રતીકાત્મક તસવીર
સેજલને સવાલ
સવાલ: મારે એક દોસ્ત છે. સાવ જ નિમ્ન-મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ છે. કૉલેજમાંથી બહાર આવ્યા ત્યારે જ તેણે નક્કી કરેલું કે પાંચ વર્ષમાં પોતાનું ઘર લઈશું. તેનો પગાર મારા કરતાં લગભગ અડધો છે અને એમ છતાં આજે તેની પાસે ઘર છે, જ્યારે હું હજીયે ભાડાના ઘરમાં છું. સાચું કહું તો મારા એ દોસ્ત કરતાં હું ખૂબ વધુ વિચારશીલ અને પ્લાનિંગવાળો છું એમ છતાં સફળતાની બાબતમાં તે મારાથી આગળ છે. મેં નોકરીમાં જમ્પ મેળવવા માટે ત્રણ કંપનીઓ બદલી અને એ માટે બે વાર શહેરો પણ બદલવાં પડ્યાં. હું તેને પૂછતો કે તેં ઘર લેવાની શું તૈયારી કરી છે તો કહે, સમય આવ્યે થઈ જશે. મને ભગવાન પર ભરોસો છે. મારો બીજો દોસ્ત પણ અતિધાર્મિક અને શ્રદ્ધાળુ છે. તે પણ મારા કરતાં વધુ ઝડપથી પ્રોફેશનલ લાઇફમાં આગળ વધી ગયો. જ્યારે હું નવી નોકરીમાં સેટલ થવાની મથામણમાં છું. આ બધી વાત તમને કહેવાનો મતલબ એ કે શું ખરેખર ભગવાન ભરોસે છોડી દઈએ તો વધુ સફળતા મળે છે? કદાચ તમે કેટલું તીવ્રતાથી જે-તે ચીજ ઝંખો છો એની પણ અસર થતી હશે? આમ તો ફિલ્મી ડાયલૉગ છે, ‘અગર પૂરી શિદ્દત સે કિસી ચીજ કો ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને મેં લગ જાતી હૈ’, પણ મેં એને ઘણા લોકોના કેસમાં સાચો પડતો જોયો છે. મોટિવેશનલ સ્પીકરો પણ કહે છે કે તમે જે અચીવ કરવા માગો છો એને તમારા મનમાં વધુ ને વધુ ઘૂંટો. શું આ વાત ઇચ્છાશક્તિની જ છે?
ADVERTISEMENT
જવાબ : જીવનમાં કંઈ પણ કરવા માટે ઇચ્છા એ પાયાની જરૂરિયાત છે. અમુક-તમુક ચીજ મેળવવાની, કરવાની જ્યારે ઇચ્છા થાય છે ત્યારે જ આપણે એ માટે જરૂરી કર્મ કરીએ છીએ. જેમ કે ખાવાની ઇચ્છા થાય છે ત્યારે જ તમે ખાઓ છો. એટલે ઇચ્છાશક્તિ બહુ મહત્વની છે એવું હું માનું છું. જોકે જે-તે ચીજ મેળવવા માટે તમે ‘મારે આ ચીજ જોઈએ છે’, ‘મને આ ચીજ જોઈએ જ છે’, મને આ ચીજ કોઈ પણ ભોગે જોઈએ જ છે.’ એવી ઇચ્છાનું રટણ કરવાનું ન હોય. એમ કરવાથી કાયનાત તમારી આંખો સામે એ ચીજ લાવીને મૂકશે એવું કદી બનવાનું નથી.
આ પણ વાંચો : છોકરીઓની હજરી અનઈઝી ફીલ કરાવતી હોવાથી તેમની સાથે અસહજ છું, શું કરું?
જે લોકો બહુ શ્રદ્ધાળુ હોય છે તેઓ પોતાની ઇચ્છાને ભગવાન ભરોસે છોડી દે છે. આવા સંજોગોમાં એવા જ શ્રદ્ધાળુઓની ઇચ્છા બર આવે છે જે પોતે નક્કી કરેલા માર્ગને કોઈ શંકા વિના વળગી રહે છે. ‘મારી તો કેટલી ઓછી સૅલેરી છે, એમાં ક્યાંથી ઘર ખરીદી શકાશે?’ એવી શંકા વિના તે પોતાનું કામ કર્યે જાય છે અને એટલે જ જે ક્ષણે તેને ઘર ખરીદવાની સાચી તક મળે છે ત્યારે એને ઝડપી લઈ શકે છે. જે લોકો બહુ વિચારતા હોય તેમનામાં પોતાની જ ઇચ્છાશક્તિ માટે શ્રદ્ધા બહુ ઓછી હોય છે. તેમને અવારનવાર એવા વિચારો આવતા રહે છે કે મારી આ ઇચ્છા પૂરી નહીં થાય તો? એટલે શંકાને કારણે તેઓ વારંવાર પોતાને જે જોઈએ છે એ ધ્યેયમાં બદલાવ લાવ્યા કરે છે. તમે ત્રણ નોકરીઓ બદલી એનું કારણ શું? તમે કહો છો કે પેલા મિત્ર કરતાં વધુ કમાતા હતા એમ છતાં તમે વધુ કમાવાની લાયમાં પડ્યા. હું માનું છું કે મગજ સતત ચંચળ વિચારોમાં વ્યસ્ત હોય ત્યારે સામે આવીને ઊભેલી સાચી તકો પારખવાની ક્ષણ ચુકાઈ જાય છે અને આપણે એ પછી ઇચ્છાશક્તિને અને કાયનાતને દોષ દઈએ છીએ.