RJ જિયાની ખયાલોં વાલી ખિડકીઃ સંબંધોમાં સાચા સમયે પહેલ જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
“વો જો હમમેં તુમ મેં કરાર થા, તુમ્હેં યાદ હો કી ના યાદ હો”, બેગમ અખ્તરના અવાજમાં ગવાયેલી આ ગઝલ અને મોમીન ખાન મોમીનનાં આ શબ્દોથી વાત શરૂ કરીને RJ જિયા કહે છે કે કઇ રીતે શબ્દો અને સંગીત એ તમામ વાત સરળતાથી કહી દે છે. આત્મિયતાની વાત ટાંકતે તે સંગીતને પોતાના દિવસની શરૂઆત અને અંતનો હિસ્સો કહે છે. જિયા કહે છે કે સંગીત અને તેના શબ્દો આપણા જીવનમાં બહુ જ લેખે લાગતા હોય છે. લૉકડાઉનમાં જે રીતે સંબંધો પર સવાલ ઉઠે છે, અંતર છે અથવા તો જરાય સ્પેસ નથી મળતી આ વાતનો વિસ્તાર કરતાં જિયાનું કહેવું છે કે, “અત્યારે આપણે જબરદસ્તી સતત સ્વજનોની સાથે રહેવું પડે છે. એકના એક ચહેરાને જોવો, ક્યાંક ખોટું લગાડવું, ક્યાંક માની જવું. પણ આ નોક ઝોંકનાં ઘણાં સ્તરો છે. બે જણ વચ્ચે જ્યારે ખટરાગ થાય છે ત્યારે બંન્નેનાં મનમાં પીડા તો હોય છે અને પછી તે દૂર ન થાય ત્યારે ભવિષ્યમાં કચકચ થાય ત્યારે જુની નારાજગી પણ એકઠી થઇ જાય છે. એક જણને મુવ ઓન થવું હોય અને એકને મુવ ઓન ન થવું હોય અને પછી માણસ સંજોગોનો બોજ બની જાય છે. બે વ્યક્તિ વચ્ચે તકલીફ થાય ત્યારે કોણ પહેલા મનાવશે એવું દરેકના મનમાં ચાલ્યા કરે છે.” તે કહે છે કે નાનકડો ઝગડો ક્યારેક સંબંધમાં ઝેર ભેળવે છે અને કોઇ ઘસરકો ઉંડો ઘા બની જાય છે. કદાચ કોઇ વાત એક ફોન કૉલથી કે એક નાનકડી વાતથી પણ ટળી શકે છે પણ કોણ પહેલ કરેમાં આખી વાત ખોટકાઇ જાય છે. વાત અટકી જાય ત્યારે દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ જાય છે. કોઇ ચાહે કે કોઇ મને મનાવે તો કોઇ ચાહે કે એ જાતે જ માની જાય. એ ઓનલાઇન હશે કે નહીં હોય, એને કેમ હું ઓનલાઇન છું એ ખબર પડવા દઉંના ખેલમાં સમય જતો રહે છે અને પછી જે વાતે લડાઇ થઇ હતી તે નાની અને ખોખલી લાગવા માંડે છે. લાંબો સમય ચાલેલી કડવાશ દૂર કરવા માટે આપણને વિચારો પર કાબુ હોય તે જરૂરી છે.
ADVERTISEMENT
આપણી શરત પ્રમાણે બધાં સંબંધો નથી ચાલતા, આપણે લોકોને સરળતાથી સમજવા કે સમજાવવા નથી માનતા. આપણે પણ ઇગો મુકીને સામે ચાલીને કોઇ પહેલ નથી કરતા, કોઇ સંબંધ એટલા નબળા નથી હોતા કે આપણે એક પહેલ કરીને જાતને જ મોકો નથી આપતા અને સામે વાળાને પણ મોકો ન આપ્યો. આપણી લાગણીઓ અને વિચારો આપણને કાબુમાં કરવા માંડે છે અને સંબંધો બચાવવામાં આપણે ચૂકી જઇએ છીએ. સંબંધમાં સામી વ્યક્તિ નહીં પણ આપણે શું કરીએ છીએ એ જ વિચારવાની જરૂર છે, ખરું ને...