સંક્રાંતિ પ્રવેશ સમયની કુંડલી...
૧૫મીની રાત્રે ૨.૧૨ કલાકે મકરસંક્રાંતિનો પ્રારંભ થાય છે માટે સંક્રાંતિ પુણ્યકાળ ૧૫મીએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય આખો દિવસ ગણાશે. જ્યારે પતંગોત્સવ ૧૪ અને ૧૫ બન્ને દિવસ મનાવાશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર મંગળવારની સંક્રાંતિ પ્રારંભ વાહન-ગદર્ભ (ગધેડો) એ સમયની ઉદિત તુલા લગ્નની કુંડળીમાં લગ્નેશ શુક્ર પાંચમા ભાવમાં એની પર સિંહ રાશિ ચંદ્રની સાતમી દૃષ્ટિ પડવાથી ધન-ધાન્ય, રૂ, હીરા, સોના-ચાંદી, કપાસ, કાગળ તેમ જ ખાણી પીણીના ક્ષેત્રે વધુ તેજ બની રહે. ત્રીજા ભાવમાં ગુરુ, શનિ, કેતુની યુતિના કારણે કર્મચારીઓમાં અશાંતિ, અસંતોષ, કામચોરી વધુ પેદા થાય તેમ જ દગા, ફટકા, છેતરપિંડીના બનાવો વધુ બને અને ઉચ્ચ ક્ષેત્રે સરકારી અધિકારીગણ, યુનિયન નેતા કે આગેવાનોને યશ અને જશ ન મળે. ગધેડાની જેમ મહેનત વધુ કરવી પડે! રહિશો માટે સારો પ્રગતિકારક સમય જોવા ન મળે, કારણ કે સંક્રાંતિ સ્થિતિ-સૂતેલી હોવાથી આળસ અને ઊંઘ વધુ જોવા મળે. યુવાવર્ગમાં જોમ, જુસ્સો, ઉશ્કેરાટનું પ્રમાણ નહીંવત્ જોવા મળે. સંક્રાંતિ વય-તરણી હોવાથી બહેનો, દીકરીઓએ અભ્યાસ, નોકરી-ધંધાના સ્થળ પર વધુ સાવધાની અને સાવચેતી રાખવી.
આયુદા-દંડ હોવાથી નાની-નાની બાબતોએ વાદવિવાદ કે ઝઘડા વકરે. ટિળક-ગોપીચંદન હોવાથી ચણાની દાળ, ચંદન, હળદર, પીળા કલરનું કાપડ, પીળા કલરની મીઠાઈ જેવી તમામ ચીજવસ્તુઓની અછત વર્તાય જેના લીધે ભાવો વધે. સંક્રાંતિ આગમન પૂર્વ દિશા બાજુ હોવાથી ત્યાંના રહીશો પાણીજન્ય કે લેબર અછતમાં વધુ તકલીફો વધે. સંક્રાંતિ ગમન પશ્ચિમ દિશા હોવાથી એ વિસ્તારના રહીશો વધુ ને વધુ સુખી થાય. સંક્રાંતિ દૃષ્ટિ વાયવ્ય બાજુ પડવાથી આ બાજુના ખૂણાના રહીશો રોગચાળામાં વધુ ત્રાસી જાય. પુષ્પ-કેવડો, આભૂષણ-હીરા હોવાથી સુગંધી દૃવ્ય તથા સોના, ચાંદી, ભોજપત્રોની ચીજવસ્તુઓનો વપરાશ વધે. વસ્ત્ર-પાડુંર હોવાથી દરેક ક્ષેત્રે મહિલાઓ સતત અગ્રેસર રહે. પ્રજા વધુ સ્વાર્થી, મતલબી જોવા મળે. ગુજરાતીમાં કહેવત છે, રૂપાળો ગધેડો હોય માટે કામના પ્રમાણમાં વળતર ઓછું જોવા મળે. ગધેડાને અતિપ્રિય વરસાદ હોવાથી આગામી સમયમાં મબલક વરસાદ પડે. માટી, માટીનાં વાસણો, જમીન-મકાન-મિલકતના ભાવો કૂદકે ને ભૂસકે વધતા જણાય. ગધેડા, ઘેટું જેવાં પશુના ત્રાસ વધે. તેમની વસ્તી પૃથ્વીમાંથી ઓછી થાય.
વાહન-ગદર્ભ (ગધેડો)
ઉપવાહન - ઘેટું
પાંડુર-વસ્રો
ટિળક-ગોપીચંદન
જાતિ-પક્ષી
પુષ્પ-કેવડા
વય-તરુણી
ભક્ષણ-માલપૂડા
આભૂષણ-હીરા
પાત્ર-કાસ્ય
કંચૂકી-ભોજપત્ર
સ્થિતિ-સૂતેલી
આયોદા-દંડ
આગમન-પૂર્વ
ગમન-પશ્ચિમ
મૂળ-દક્ષિણ
દૃષ્ટિ-વાયવ્ય
નક્ષત્ર નામ-ધોરા
ચંદ્ર રાશિથી દરેક રાશિના જાતકોને કેવું ફળશે એ વિશે જણાવતાં જાણીતા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર...
મેષ : ઘણા લાંબા સમયથી જે કામ કરવાનું વિચારી રહ્યા છો એ આ સમયગાળામાં ફટાફટ પૂર્ણ થશે. સરકારી અમલદારો દ્વારા શુભ સમાચાર મળે.
વૃષભ : વેપાર-વ્યવસાયમાં ઉન્નતિ ખૂબ જ સારી થશે. સંતાનોને નોકરી-ધંધાના ક્ષેત્રે શુભ તક મળી રહે.
મિથુન : વાદ-વિવાદ ન થાય માટે ખૂબ જ સંભાળવું. નવા તેમ જ જોખમી કાર્યો ટાળવાનો પ્રયાસ કરવો.
કર્ક : ભૂતકાળની વાતો વારંવાર વિચારમાં આવ્યા કરે. નોકરી-ધંધામાં શુભ પરિવર્તન આવે.
સિંહ : જોખમી કાર્યો ટાળવાનો પ્રયાસ કરવો. વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ થશે. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.
તુલા : પરેશાનીમાં વધારો થઈ શકે. જૂના રોગોમાંથી રાહત મળે.
વૃશ્ચિક : નવાં-નવાં કાર્યો કરવાનો અવસર મળશે. માન-સન્માન અને પ્રસિદ્ધિમાં વૃદ્ધિ થશે. નવા સંપર્કો દ્વારા નવો ધંધો થશે.
મકર : વેપાર અને વ્યવસાયમાં નુકસાની મોટી આવી શકે. પરિવારમાં માંગલિક પ્રસંગો આવે.
કુંભ : તમારા રોકાણથી નુકસાની આવી શકે. સંતાનના આરોગ્ય અંગે ચિંતા રખાવે.
મીન : વેપાર અને વ્યવસાયમાં જૂની ઉઘરાણી આવવાથી લાભ થશે. સંબંધિઓ અને સહયોગીઓ પાસેથી મદદ પ્રાપ્ત થશે.
૧૫મીએ મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત પુણ્યકાળ નિમિત્તે દરેક રાશિના જાતકોએ કઈ-કઈ ચીજવસ્તુઓનું દાન કરવું એ નીચે દર્શાવેલ છે...
(૧) મેષ, કર્ક, ધન : રૂપાના પાયે પનોતી ચાંદીના પાયે, સફેદ વસ્ત્ર, ચોખા, સાકર, ચાંદીની નાનકડી ચીજવસ્તુ.
(૨) સિંહ, તુલા, મીન : સોનાના પાયે પનોતી, પીળા કલરનાં વસ્ત્રો, ગોળ, ચણાની દાળ, પિત્તળના વાસણ તથા શક્ય હોય તો સોનાનું દાન આપવું.
(૩) મિથુન, વૃશ્ચિક, કુંભ : તાંબાના પાયે પનોતી, લાલ કલરનું વસ્ત્ર, ઘઉં, તલ, તાંબાનું વાસણ.
વૃષભ, કન્યા, મકર : લોઢાના પાયે પનોતી, કાળા કલરનાં વસ્ત્રો, તલ, અડદ, લોખંડનું વાસણ દાન આપવું.