Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શિયાળામાં જ શું કામ, બારેમાસ આમળાં ખાઓ

શિયાળામાં જ શું કામ, બારેમાસ આમળાં ખાઓ

22 January, 2020 02:47 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

શિયાળામાં જ શું કામ, બારેમાસ આમળાં ખાઓ

આમળાં

આમળાં


વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર આ ફળના એટલા ફાયદા છે કે એ લગભગ દરેક રોગમાં વિવિધ અનુપાન સાથે ચમત્કારિક કહી શકાય એવું પરિણામ આપે છે. ઠંડીમાં માત્ર બે-ત્રણ મહિના જ એ ફ્રેશ મળે છે, પરંતુ એને વિવિધ રૂપે સાચવી રાખી શકો તો એનું સેવન ત્રણેય ઋતુમાં કરી શકાય એમ છે. આજે નિષ્ણાત પાસેથી જાણી લઈએ

તમે એક આમળાંમાં વીસ સંતરા જેટલું વિટામિન સી ઠાંસેલું હોય છે એવું તાજેતરમાં બ્રિટનની ન્યુટ્રિશન જર્નલમાં નોંધાયું છે. આયુર્વેદે તો અનાદિકાળથી આમળાંને શ્રેષ્ઠ ઔષધોમાંનું એક ગણ્યું છે, પરંતુ હવે મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સે પણ આમળાંના ગુણગાનને સમર્થન આપવાનું શરૂ કર્યું છે. એમાં વિવિધ પ્રકારનાં પૉલિફિનૉલ્સ, ફ્લૅવનૉઇડ્સ અને ટૅનિન નામનાં રસાયણો રહેલાં છે જે આપણા શરીરમાં છૂટાં ફરતાં રેડિકલ્સને શરીરના કોષો સાથે ઑક્સિડેશનની પ્રક્રિયા દ્વારા જોડાઈને ડૅમેજ કરતાં અટકાવે છે. આ જ કારણોસર મૉડર્ન સાયન્સે આમળાંને ઇમ્યુન સિસ્ટમ, ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, સોજો, લિવરની સમસ્યાઓ, બ્રેઇન ડીજનરેશન, ડાયજેશન અને વૃદ્ધત્વ સાથે સંકળાયેલી આંખોની સમસ્યામાં શ્રેષ્ઠ કામ આપનારું કહ્યું છે. આયુર્વેદ ક્ષેત્રે પચીસ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા અને ખાસ આમળાંની કૅન્સર પર અસરકારતા પર સંશોધન કરનારા ડૉ. નીતિન કોચર પાસેથી આમળાંના રોજિંદા ઉપયોગો ક્યારે અને કેવી રીતે કરવા અને કોણે ન કરવા એ વિશે જાણીએ.



માનો દરજ્જો


આયુર્વેદે આમળાંને માનો દરજ્જો આપ્યો છે કેમ કે એનું એક નામ ધાત્રી છે. ધાત્રી એટલે જન્મદાત્રી. જેમ જન્મ આપનાર મા પોતાના બાળકને કોઈ પણ આપદા-વિપદાઓથી બચાવે છે એમ આમળાં જેના શરીરમાં પ્રવેશે એના માટે ધાત્રી જેવું કામ કરે છે. ધાત્રીગુણ વિશે વાત કરતાં ડૉ. નીતિન કોચર કહે છે, ‘આમળાંનો ઉપયોગ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. માત્ર શિયાળામાં જ નહીં, બારેમાસ કરવો જોઈએ. આપણે ત્યાં હવે તો આમળાંમાંથી બનતી કેટલીબધી ચીજો ઉપલબ્ધ છે. કાંઈ ન હોય તો આમળાંનું ચૂર્ણ પણ કાફી છે. રાધર, મને એવું લાગે છે કે આમળાંનું ચૂર્ણ બધાને માફક આવે એવું છે. એ બારેમાસ અવેલેબલ હોય છે અને દરદીની અવસ્થા, રોગીની સ્થિતિ, કાળ અને ઋતુ અનુસાર વિશિષ્ટ અનુપાન દ્વારા એની ક્ષમતાનો મૅક્સિમમ ફાયદો મેળવી શકાય છે.’

જૂસની સીઝન


શિયાળામાં આમળાંનો શુદ્ધ અને ફ્રેશ જૂસ મળી શકે એમ હોય તો ચોક્કસપણે પીવો જોઈએ. એવું કહેવાય છે કે જો શિયાળામાં ત્રણ મહિના રોજ આમળાંનો જૂસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ પ્રબળ થાય છે. ફ્રેશ આમળાંમાં ઑરેન્જ કરતાં વીસ ગણું વિટામિન સી હોય છે એટલે એ કોઈ પણ પ્રકારના ઘાને ઝડપથી રુઝ આપવા તેમ જ આયર્નનું ઍબ્ઝોર્પ્શન સુધારીને હીમોગ્લોબિન પણ વધારે છે. જોકે એને પ્રિઝર્વ કરી રાખીને બારેમાસ એ પીવાનું હિતાવહ નથી એમ જણાવતાં ડૉ. નીતિન કોચર કહે છે, ‘જૂસ આમ જુઓ તો ઉત્તમ છે, પરંતુ એ પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે. સીઝનમાં ફ્રેશ લો તો સારું, પણ વરસ આખા માટે સંઘરી
રાખેલો હોય તો એમાં જરા વિચારવું. વળી, યુરિક ઍસિડના દરદીઓ માટે જૂસ ઠીક નથી. જૂસ પીવાથી કફ અને સંધિવાના દરદીઓને પણ તકલીફ થઈ શકે છે. એટલે જૂસનું કોણે કેટલું સેવન કરવું એ બાબતે સાવ આંખ બંધ કરીને ન ચાલવું. એમાં નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ રહેશે.’

કઈ-કઈ રીતે લેવાય?

આમળાં લેવાની અનેક રીતો છે અને એમાં ચૂર્ણ લેવાનું સરળ અને સુલભ છે એમ જણાવતાં ડૉ. નીતિન કોચર કહે છે, ‘ચૂર્ણના ફૉર્મમાં આમળાંને વિવિધ ઔષધદ્રવ્યો સાથે મેળવી શકાય. આમળાં ધાત્રી રસાયણ છે અને ઘણી બીમારીમાં કામ કરે છે. ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, બ્લડપ્રેશર એમ અનેક સમસ્યાઓમાં અક્સીર બને. એનો ચ્યવનપ્રાશ, અવલેહ અને મુરબ્બો પણ લેવાય. જોકે ચ્યવનપ્રાશ પણ શુગરવાળો આવે છે એટલે બહારના તૈયાર માલ પર ભરોસો ન કરાય. શુગર-ફ્રીનું લેબલ જોઈને તમે એ લેવાનું વિચારતા હો તો એ તો એથીય ખરાબ છે. કેમ કે એમાં શુગર-ફ્રીના નામે નકરું સેક્રિન હોય છે. મુરબ્બામાં પણ
ખડી સાકર કે ગોળનો ઉપયોગ કર્યો હોય તો ઉત્તમ. અલગ-અલગ રોગો અને અવસ્થાઓ માટે ખડી સાકર, સૂંઠ, ગોળ, હળદર, ભાંગરો જેવાં દ્રવ્યોનું મિશ્રણ કરી શકાય. એની બેસ્ટ મુરબ્બાની રેસિપી હું મારા દરદીઓને પણ ઘરે બનાવવાનું કહેતો હોઉં છું એ તમને પણ કહું. પહેલાં આખાં આમળાંંને કાપા પાડીને બાફી લેવાનાં. બફાઈ જાય એટલે એને ફોડીને એમાંથી ઠળિયા અલગ કરી દેવાના અને એનું છીણ તૈયાર કરવું. ત્યાર બાદ એમાં અડધોઅડધ ઑર્ગેનિક ગોળ ઉપર પાથરી દેવો. આ મિશ્રણને તપેલીમાં ભરીને જેમ છુંદો બનાવવા માટે કપડું અને ચાળણી બાંધીને તડકે મૂકીએ એમ તૈયાર કરવું. આઠથી દસ દિવસ આ તપેલું
સૂર્યના આકરા તાપમાં રહેશે એટલે ગોળ-આમળાંં એકરસ થઈને જે તૈયાર થશે એ દ્રવ્ય શુદ્ધ અને અસરકારક હશે. એમાં જો સૂંઠ નાખી હશે તો એના ગુણ ઑર વધશે.’

ત્રિફળાનું મહત્વનું અંગ

આયુર્વેદમાં રસાયણ ગુણ ધરાવતા ત્રિફળાના પણ અનેક ગુણ ગવાયેલાં છે. આ ચૂર્ણમાં પણ આમળાંંનો મહત્વનો ભાગ છે એમ જણાવતાં ડૉ. નીતિન કહે છે, ‘હરડે બે ભાગ, બહેડાં એક ભાગ અને આમળાં ચાર ભાગ એમ મિક્સ કરો એટલે ત્રિફળા તૈયાર થઈ જાય. આ ત્રિફળાના તો અનેક ઉપયોગો છે. રોજ રાતે સૂતાં પહેલાં એક ચમચી ત્રિફળા લો તો એનાથી શરીરના ત્રણેય દોષોનું શોધન થશે. શરીરને સ્વસ્થ રાખવા માટે શોધન એ સૌથી મહત્વની ક્રિયા છે. શરીરનું શોધન થાય તો ટૉક્સિન્સ બહાર નીકળે અને અગ્નિ વધતો જાય. આયુર્વેદમાં જઠરાગ્નિ વધે અને દોષોનું શોધન થાય એ સ્વસ્થ રહેવાની ચાવી છે. આ માટે આયુર્વેદના
ગ્રંથ સુશ્રુષમાં એક શ્લોક છે - સમદોષ: સમાગ્નિશ્ચ સમધાતુમલ ક્રિય: પ્રસન્નાત્મેન્દ્રિયમના: સ્વસ્થ ઇત્યભિધીયતે. એનો મતલબ એ કે દોષ ઓછા થાય, ધાતુ શુદ્ધ થાય, અગ્નિ બળવાન થાય, મળ બહાર નીકળે, ચિત્ત પ્રસન્ન રહે તો માણસ સ્વસ્થ રહે.’

અચૂક કરવા જેવા ઔષધ પ્રયોગો

જો ડાયાબિટીઝ ન હોય તો રોજ સવાર-સાંજ બે-બે ગ્રામ આમળાંનું ચૂર્ણ અને ખડીસાકર મિક્સ કરીને લેવાનું. જો ડાયાબિટીઝ હોય તો હળદર અને આમળાં સમભાગે મેળવીને સવાર-સાંજ લેવાનું. ડાયાબિટીઝ માટે નિશા આમલકી ચૂર્ણ કહેવાય છે. આ ચૂર્ણ ભૂખ્યા પેટે સવાર-સાંજ બે વાર લેવાથી ડાયાબિટીઝમાં અસર કરે છે.

આમળાં, સૂંઠ અને ગોળ મિક્સ કરીને જમતાં પહેલાં લેવાની અગ્નિ પ્રદીપ્ત થાય છે. જઠરાગ્નિ મજબૂત થાય તો અનેક વિકારો દૂર થાય છે અને દોષોનું શોધન થાય.

આમળાં, ભાંગરો અને કાળાં તલ સમપ્રમાણમાં લેવાં. કાળાં તલને પહેલાં શેકીને પછી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ જમ્યા પછી એક-એક ચમચી લેવામાં આવે તો એ વાળ માટે ખૂબ જ સારું. જો તમને ગરમી ન હોય તો એમાં આમળાંના ચોથા ભાગની કલોંજી લેવી. રોજ એક વર્ષ માટે સવાર-સાંજ આ ચૂર્ણનું જમીને સેવન કરો તો વાળ સરસ થઈ જશે.

હળદર અને આમળાંનું સમપ્રમાણ મિશ્રણ કરીને લેવાથી ડાયાબિટીઝ અને આંખના વિકારો તેમ જ રેટિનોપથીમાં ઉત્તમ કામ રહે.

આમળાં વરસાદમાં ગોળ સાથે, ગરમીમાં ઘી સાથે અને ઠંડીમાં મધ સાથે લેવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે. એ હાર્ટ, બ્રેઇન, કિડની, આંખ જેવા અવયવોને સ્વસ્થ રાખે છે અને ઑલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ જેવા રોગોને પ્રિવેન્ટ કરે છે.

કૅન્સરના પ્રિવેન્શન માટે આમળાંનો ઉપયોગ અશ્વગંધા, ગળો અને હળદર સાથે કરવામાં આવે તો ફરીથી ઊથલો મારવાના ચાન્સિસ ઘટી જાય છે.

સીઝનમાં ફ્રેશ જૂસ લો તો સારું, પણ વરસ આખા માટે સંઘરી રાખેલો હોય તો એમાં જરા વિચારવું. વળી, યુરિક ઍસિડના દરદીઓ માટે જૂસ ઠીક નથી. જૂસ પીવાથી કફ અને સંધિવાના દરદીઓને પણ તકલીફ થઈ શકે છે.

- ડૉ. નીતિન કોચર, આયુર્વેદ નિષ્ણાત

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 02:47 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK