સમાગમ દરમ્યાન બે-ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે, શું કરું?
પ્રતીકાત્મક તસવીર
સવાલ: લગ્નને દસ વર્ષ થયાં છે. જોકે લગ્ન થયાં એ પહેલાં મને ખૂબ જ હસ્તમૈથુનની આદત હતી એને કારણે ઇન્દ્રિયનો વધુ વિકાસ થતો અટકી ગયો હતો અને સાઇઝ નાની રહી ગઈ હતી. એમ છતાં વાઇફને સંતોષ આપવામાં અત્યાર સુધીમાં ક્યારેય તકલીફ પડી નહોતી. હમણાંથી હસ્તમૈથુન ઘટી ગયું છે છતાં સમાગમ દરમ્યાન બે-ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. ઇન્દ્રિયની સાઇઝ ઘટી નથી કે ઉત્તેજનામાં પણ એટલો ઘટાડો નથી થયો. યોનિપ્રવેશ સરળતાથી કરાવી શકું એટલું કડકપણું આવે છે. શીઘ્રપતનને કારણે મારી પત્નીને સંતોષ નથી મળતો. ક્યારેક સવારે ઊઠું ત્યારે યુરિન પાસ કરતી વખતે બળતરા થાય છે અને એ પછી સફેદ ટીપાં જેવું નીકળતું હોય એવું લાગે છે. ફૅમિલી-ડૉક્ટરની દવા લઉં છું, પણ સફેદ ટીપાં કે બળતરામાં કોઈ ફરક નથી.
જવાબ: પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન જીવનના કોઈ પણ તબક્કે થઈ શકે છે. હસ્તમૈથુનની આદત હોવા ન હોવા સાથે એને કોઈ સંબંધ નથી. બીજું, હસ્તમૈથુન કરવાથી ઇન્દ્રિયની સાઇઝ નથી વધતી, નથી ઘટતી. ઇન્દ્રિય સ્નાયુનો બનેલો અવયવ છે અને એ સંકોચાઈ જાય છે એવી ભ્રમણા અનેક લોકોને સતાવતી હોય છે. તમે એ ખોટી માન્યતાને મનમાંથી કાઢી નાખો.
ADVERTISEMENT
માનસિક ઉચાટને કારણે પણ શીઘ્રસ્ખલન થઈ શકે છે. ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના આવતી હોય પણ લાંબો સમય એ ટકી શકતી ન હોય તો એ માટેની સમાગમના એક કલાક પહેલાં ડેપોક્સિટિન નામની ગોળી લઈ શકો છો, પરંતુ એ પહેલાં ફૅમિલી-ડૉક્ટર પાસે કમ્પ્લીટ ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે.
સવારે ઊઠીને ક્યારેક યુરિન પાસ કરતી વખતે જે બળતરા થાય છે એનું સાદું કારણ કદાચ તમે ઓછું પાણી પીતા હો એવું બની શકે. દિવસમાં અઢીથી ત્રણ લીટર પાણી પીવાનું રાખો. જરૂર પડ્યે ધાણા અને જીરું નાખીને ઉકાળેલું પાણી ઠારીને પીઓ. એમ કરવાથી યુરિનરી ટ્રૅક્ટની બળતરા શાંત થશે. ત્રણેક દિવસ આ પ્રયોગ કરવા છતાં બળતરા ન શમે તો યુરિન રૂટીન અને કલ્ચર રિપોર્ટ કરાવી લેવો. ક્યારેક યુરિનરી ટ્રૅક્ટનું ઇન્ફેક્શન હોઈ શકે છે. કબજિયાતને કારણે કે મળત્યાગ માટે જોર કરતી વખતે પણ સફેદ ટીપાં પડી શકે છે.