સ્વાદ અને ગંધ ન પરખાય એ પણ કોરોનાનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
કોરોનાવાઇરસનાં લક્ષણો, દવાઓ અને પ્રિવેન્શન માટે આએદિન જાતજાતના નુસખાઓ અને સમાચારો બહાર આવતા રહે છે. દરેક વાતો સાચી નથી હોતી એટલે આંખ બંધ કરીને એનું અનુસરણ કરવું જોખમી બની શકે છે.
જોકે દક્ષિણ કોરિયા, ચીન અને ઇટલીના ડૉક્ટરોએ કોરોનાના એક લક્ષણની વાત કરી છે એ બાબતે આપણે સાવધ રહેવા જેવું ખરું. દક્ષિણ કોરિયામાં કોરોનાનો ચેપ ધરાવતા લગભગ ૩૦ ટકા લોકોને અચાનક સ્મેલ અનુભવાતી નહોતી. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ પણ દરદીઓના શ્વસનતંત્રનો અભ્યાસ કરીને નોંધ્યું હતું કે વાઇરસને કારણે તેમના નાક અને અંદર ફેફસાં સુધી જતી નળીઓમાં સોજો આવતો હોવાથી તેમને ગંધ પારખવામાં મુશ્કેલી પડતી હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ લક્ષણોને જ કોરોના થઈ ગયો છે એવું માનવાને બદલે એને પ્રારંભિક લક્ષણોની સંભાવના સમજીને અલર્ટ થવું જરૂરી છે. દક્ષિણ કોરિયામાં ૩૦ ટકા દરદીઓમાં અને ઇટલીમાં ૩૪.૮ ટકા દરદીઓમાં સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતામાં ઓટ નોંધાઈ હતી. આ વાતને પત્થરની લકીર માની લેવાને બદલે સ્ક્રીનિંગ માટેનું ટૂલ સમજવું જોઈએ એવું ડૉક્ટરોનું માનવું છે. બ્રિટિશ રાયનોલૉજિકલ સ્ટડીના અભ્યાસકર્તાઓનું માનવું છે કે વાઇરસ શરીરમાંથી દૂર થઈ ગયા પછી પણ બહુ ઝડપથી ઘ્રાણેન્દ્રિયો પૂર્વવત થઈ જાય એવું નથી હોતું.
ADVERTISEMENT
ટૂંકમાં તાવ, સૂકી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને થાક જેવાં લક્ષણોની સાથે આ સ્વાદ-ગંધ પારખવાની ક્ષમતાને પણ ચકાસતા રહેવી જોઈએ.